યોહાન 9 - પવિત્ર બાઇબલ C.L.જન્મથી આંધળો દેખતો થયો 1 રસ્તે જતાં ઈસુએ જન્મથી આંધળા એક માણસને જોયો. 2 તેમના શિષ્યોએ પૂછયું, “ગુરુજી, કોના પાપે એ આંધળો જનમ્યો? પોતાનાં કે તેનાં માતાપિતાનાં?” 3 ઈસુએ જવાબ આપ્યો, “એના અંધાપાને એનાં કે એનાં માતાપિતાનાં પાપ સાથે કંઈ સંબંધ નથી; પણ તેનામાં ઈશ્વરની કાર્યશક્તિ પ્રગટ થાય તે માટે તે આંધળો જનમ્યો છે. 4 જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી મને મોકલનારનાં કાર્યો આપણે ચાલુ રાખવાં જ જોઈએ. રાત આવે છે, જ્યારે કોઈથી ક્મ કરી શક્તું નથી. 5 હું દુનિયામાં છું ત્યાં સુધી હું દુનિયાનો પ્રકાશ છું.” 6 એમ કહ્યા પછી ઈસુ જમીન પર થૂંક્યા અને થૂંકથી માટી પલાળીને તે માણસની આંખ પર ચોપડી, 7 અને તેને કહ્યું, “જા, શિલોઆમ (અર્થાત્ મોકલાયેલો)ના કુંડમાં જઈને તારું મોં ધોઈ આવ.” તેથી તે ગયો, મોં ધોયું અને દેખતો થઈને પાછો આવ્યો. 8 પછી તેના પડોશીઓ અને આ પહેલાં જેમણે તેને ભીખ માગતાં જોયો હતો તેમણે પૂછપરછ કરી, “પેલો બેઠો બેઠો ભીખ માંગતો હતો એ જ આ માણસ નથી?” 9 કેટલાએકે કહ્યું, “હા, એજ છે;” બીજાઓએ કહ્યું, “ના રે ના, એ તો એના જેવો લાગે છે.” એટલે તેણે પોતે જ કહ્યું, “હું તે જ છું.” 10 તેથી તેમણે તેને પૂછયું, “તારી આંખો કેવી રીતે ઊઘડી ગઈ?” 11 તેણે જવાબ આપ્યો, “ઈસુ નામના માણસે થોડી માટી પલાળીને મારી આંખ પર લગાવીને મને કહ્યું, ‘શિલોઆમના કુંડમાં જઈને તારું મોં ધોઈ આવ.’ એટલે હું ગયો અને જેવું મેં મોં ધોયું કે હું દેખતો થયો.” 12 તેમણે પૂછયું, “તે ક્યાં છે?” તેણે જવાબ આપ્યો, “મને ખબર નથી.” ફરોશીઓએ કરેલી તપાસ 13 પછી તેઓ પેલા આંધળા માણસને ફરોશીઓ પાસે લઈ આવ્યા. 14 જે દિવસે ઈસુએ માટી પલાળીને તેની આંખો ઉઘાડી હતી, તે તો વિશ્રામવાર હતો. 15 તેથી ફરોશીઓએ તે કઈ રીતે દેખતો થયો એ વિષે પૂછયું. તેણે તેમને કહ્યું, “તેમણે થોડી માટી પલાળીને લગાવી, મેં મારું મોં ધોયું અને હવે હું જોઈ શકું છું.” 16 કેટલાએક ફરોશીઓએ કહ્યું, “આવું કરનાર માણસ ઈશ્વર તરફથી આવેલો નથી, કારણ, તે વિશ્રામવાર પણ પાળતો નથી.” બીજાઓએ કહ્યું, “પાપી માણસ આવાં અદ્ભુત કાર્યો કેવી રીતે કરી શકે?” એમ તેમનામાં પક્ષ પડી ગયા. 17 તેથી ફરોશીઓએ એ માણસને ફરી પૂછયું, “તું કહે છે કે તેણે તને દેખતો કર્યો છે, તો પછી તું તેને વિષે શું કહે છે?” તેણે જવાબ આપ્યો, “તે ઈશ્વરના સંદેશવાહક છે.” 18 યહૂદી અધિકારીઓ હજી પણ માનવા તૈયાર ન હતા કે તે માણસ આંધળો હતો અને હવે દેખતો થયો છે. તેથી તેમણે તેનાં માબાપને બોલાવ્યાં અને પૂછયું, “શું આ તમારો દીકરો છે? 19 તમે તો કહો છો કે તે આંધળો જ જનમ્યો હતો તો પછી તે હવે શી રીતે જોઈ શકે છે?” 20 માબાપે જવાબ આપ્યો, “એ અમારો દીકરો છે અને એ જન્મથી આંધળો હતો એ અમે જાણીએ છીએ. 21 પરંતુ હવે તે શી રીતે જોઈ શકે છે અને કોણે તેની આંખો ઉઘાડી તેની અમને ખબર નથી. તેને જ પૂછો ને! તે પુખ્ત ઉંમરનો છે અને પોતે જવાબ આપી શકે તેમ છે.” 22 તેનાં માબાપ યહૂદી અધિકારીઓથી ડરતાં હોવાથી તેમણે એમ કહ્યું. કારણ, યહૂદી અધિકારીઓએ જે કોઈ ઈસુને મસીહ તરીકે સ્વીકારે તેનો ભજનસ્થાનમાંથી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. 23 તેથી જ તેનાં માબાપે કહ્યું, “તે પુખ્ત ઉંમરનો છે; તેને જ પૂછો.” 24 આંધળા જન્મેલા માણસને તેમણે બીજીવાર બોલાવડાવ્યો અને કહ્યું, “ઈશ્વરનો ડર રાખીને સાચું બોલજે. અમે જાણીએ છીએ કે એ માણસ તો પાપી છે.” 25 તે માણસે જવાબ આપ્યો, “તે માણસ પાપી છે કે નહિ તે હું જાણતો નથી. એક વાત હું જરૂર જાણું છું: હું આંધળો હતો અને હવે દેખતો થયો છું.” 26 તેમણે તેને પૂછયું, “તેણે તને શું કર્યું હતું? તેણે કેવી રીતે તારી આંખો ઉઘાડી?” 27 તેણે જવાબ આપ્યો, “મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે માનતા નથી. તમે કેમ ફરી ફરીને એનું એ જ સાંભળવા માંગો છો? તમે પણ તેમના શિષ્યો થવા ચાહો છો” 28 તેમણે તેને હડાૂત કરી કહ્યું, “તું તેનો શિષ્ય લાગે છે. અમે તો મોશેના શિષ્યો છીએ. 29 અમને ખબર છે કે ઈશ્વર મોશે સાથે બોલ્યા હતા, પણ એ કોના તરફથી આવ્યો છે તે અમે જાણતા નથી.” 30 તે માણસે જવાબ આપ્યો, “આ તે કેવી વિચિત્ર વાત! તેમણે મારી આંખો ઉઘાડી છે, તો પણ તમને ખબર નથી કે તે કોના તરફથી આવ્યા છે. 31 સૌ જાણે છે કે ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી; પણ પોતાના ભક્તનું અને તેમની ઇચ્છા પ્રમાણે ચાલનારનું તે જરૂર સાંભળે છે. 32 કોઈએ આંધળા જન્મેલા માણસની આંખો કદી ઉઘાડી હોય એવું સાંભળવામાં આવ્યું નથી. 33 જો એ માણસ ઈશ્વર તરફથી આવ્યા ન હોત તો તે આવું કશું કરી શક્યા ન હોત.” 34 તેમણે પ્રત્યુત્તર આપતાં કહ્યું, “તું તો પૂરેપૂરો પાપમાં જનમ્યો અને ઊછર્યો છે, અને પાછો અમને શીખવે છે?” અને તેમણે તેને કાઢી મૂક્યો. આત્મિક અંધાપો 35 તેને કાઢી મૂકવામાં આવ્યો છે એવું ઈસુએ સાંભળ્યું એટલે તેમણે તેને મળીને કહ્યું, “શું તું માનવપુત્ર પર વિશ્વાસ મૂકે છે?” 36 તે માણસે જવાબ આપ્યો, “પ્રભુ, તે કોણ છે તે મને કહો; જેથી હું તેમનામાં વિશ્વાસ મૂકું.” 37 ઈસુએ તેને કહ્યું, “તેં તેને જોયો છે, અને અત્યારે તે જ તારી સાથે વાત કરી રહ્યો છે.” 38 “પ્રભુ, હું વિશ્વાસ કરું છું,” એમ કહેતાં તે તેમને પગે પડયો. 39 ઈસુએ કહ્યું, “હું દુનિયાનો ન્યાય કરવા આવ્યો છું, જેથી આંધળાઓ જોઈ શકે, અને જેઓ દેખતા છે તેઓ આંધળા થાય.” 40 કેટલાક ફરોશીઓ તેમની સાથે હતા. તેમણે ઈસુને એમ બોલતા સાંભળ્યા એટલે પૂછયું, “તો શું તમે એમ કહેવા માગો છો કે અમે આંધળા છીએ?” 41 ઈસુએ જવાબ આપ્યો, “જો તમે આંધળા હોત તો તમને દોષ ન લાગત, પણ તમે તો કહો છો કે અમે દેખતા છીએ; અને તેથી તમારો દોષ કાયમ રહે છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide