યોહાન 8 - પવિત્ર બાઇબલ C.L.પહેલો પથ્થર કોણ મારે? 1 ત્યાર પછી તે બધા પોતપોતાને ઘેર ગયા; પરંતુ ઈસુ ઓલિવ પહાડ પર ગયા. 2 બીજે દિવસે વહેલી સવારે તેઓ મંદિરમાં પાછા આવ્યા. બધા લોકો તેમની પાસે એકત્ર થયા, ત્યાં બેસીને ઈસુએ તેમને બોધ કર્યો. 3 નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ વ્યભિચાર કરતાં પકડાયેલી એક સ્ત્રીને લઈ આવ્યા. અને તેને બધાની વચમાં ઊભી રાખી. 4 તેમણે ઈસુને કહ્યું, “ગુરુજી, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે. 5 મોશેએ આપણને નિયમશાસ્ત્રમાં એવી આજ્ઞા આપી છે કે એવી સ્ત્રીને પથ્થરો મારીને મારી નાખવી. તો હવે તમે શું કહો છો?” 6 આમ કરવાનો તેમનો હેતુ તો ઈસુની પરીક્ષા કરવાનો હતો; જેથી તેમની ઉપર આરોપ મૂકી શકાય. પરંતુ ઈસુ નીચા નમીને જમીન પર આંગળીથી લખવા લાગ્યા. 7 તેઓ તેમની આસપાસ ઊભા રહી પ્રશ્ર્ન પૂછતા હતા. તેવામાં ઈસુએ ઊભા થઈને કહ્યું, “તમારામાંના જેણે એક પણ પાપ કર્યું ન હોય, તે પહેલો પથ્થર મારે.” 8 તે ફરી નીચા નમીને જમીન પર લખવા લાગ્યા. 9 એ સાંભળીને મોટેરાંઓથી માંડીને નાના સુધી એક પછી એક બધા ચાલ્યા ગયા. ઈસુ એકલા જ ત્યાં રહી ગયા; પેલી સ્ત્રી હજી ઊભી હતી. 10 ઈસુએ ફરી ઊભા થઈને તે સ્ત્રીને કહ્યું, “બહેન, તેઓ ક્યાં ગયા? કોઈ તને સજાપાત્ર ઠરાવવા ન રહ્યું?” 11 તેણે જવાબ આપ્યો, “કોઈ નહિ, પ્રભુ.” ઈસુએ જવાબ આપ્યો, “હું પણ તને સજાપાત્ર ઠરાવતો નથી. જા, હવેથી પાપ કરીશ નહિ.” જગપ્રકાશ ઈસુ 12 ઈસુએ ફરીથી તેમને કહ્યું, “હું દુનિયાનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તેની પાસે જીવનનો પ્રકાશ રહેશે અને તે કદી અંધકારમાં ચાલશે નહિ.” 13 ફરોશીઓએ તેમને કહ્યું, “તમે પોતે જ પોતાને માટે સાક્ષી આપો છો. તમારી સાક્ષી વજૂદ વગરની છે.” 14 ઈસુએ તેમને જવાબ આપતાં કહ્યું, “હું મારા પોતા વિશે સાક્ષી આપું છતાં પણ મારી સાક્ષી સાચી છે; કારણ, હું જાણું છું કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. 15 તમે માનવી ધોરણે જ તુલના કરો છો; જ્યારે હું કોઈનો ન્યાય કરતો નથી. 16 પરંતુ જો હું ન્યાય કરું તો તે સાચો હશે; કારણ, ન્યાય કરનાર હું એકલો નથી, પણ મને મોકલનાર ઈશ્વરપિતા મારી સાથે છે. 17 તમારા નિયમશાસ્ત્રમાં લખેલું છે કે બે વ્યક્તિની એક્સરખી સાક્ષી વજૂદવાળી ગણાય. 18 હું મારા પોતા વિષે સાક્ષી આપું છું, અને મને મોકલનાર પિતા પણ મારે વિષે સાક્ષી આપે છે.” 19 તેમણે પૂછયું, “તારો પિતા ક્યાં છે?” ઈસુએ જવાબ આપ્યો, “તમે મને કે મારા પિતાને ઓળખતા નથી. જો તમે મને ઓળખતા હોત તો મારા પિતાને પણ ઓળખત.” 20 મંદિરમાં જયાં દાન-પેટીઓ હોય છે ત્યાં શિક્ષણ આપતાં ઈસુએ આ બધું કહ્યું. પરંતુ કોઈએ તેમને પકડયા નહિ, કારણ, તેમનો સમય આવ્યો ન હતો. ચેતવણી 21 ઈસુએ ફરીથી તેમને કહ્યું, “હું જાઉં છું અને તમે મને શોધશો, પરંતુ તમે તમારા પાપમાં મરશો. હું જાઉં છું ત્યાં તમે આવી શક્તા નથી.” 22 ત્યારે યહૂદી અધિકારીઓ કહેવા લાગ્યા, “‘હું જઉં છું ત્યાં તમે આવી શક્તા નથી,’ એમ તે કહે છે, તો શું તે આપઘાત કરવાનો હશે?” 23 ઈસુએ તેમને જવાબ આપ્યો, “તમે આ પૃથ્વી પરના છો, જ્યારે હું ઉપરથી આવ્યો છું. તમે આ દુનિયાના છો, પરંતુ હું આ દુનિયાનો નથી. 24 એટલે જ મેં તમને કહ્યું કે તમે તમારા પાપમાં મરશો. હું તે જ છું એવો વિશ્વાસ તમે નહિ મૂકો, તો તમે તમારા પાપમાં જ મરશો.” 25 ત્યારે તેમણે તેમને પૂછયું, “તું કોણ છે?” ઈસુએ જવાબ આપ્યો, “તે તો હું તમને શરૂઆતથી જ કહેતો આવ્યો છું. 26 તમારે વિષે તો મારે ઘણી બાબતો કહેવાની છે અને ન્યાય કરવાનો છે. છતાં મને મોકલનાર સાચા છે અને તેમની પાસેથી જે વાતો સાંભળી છે તે જ હું દુનિયાને સંભળાવું છું.” 27 ઈસુ તેમને ઈશ્વરપિતા વિષે કહી રહ્યા હતા એવું તેઓ સમજી શક્યા નહિ. 28 તેથી ઈસુએ તેમને કહ્યું, “જ્યારે તમે માનવપુત્રને ઊંચે ચઢાવશો ત્યારે તમે જાણશો કે હું તે જ છું. અને હું મારી પોતાની જાતે કશું જ કરતો નથી, પણ મારા પિતા જે શીખવે તે જ હું બોલું છું. 29 મને મોકલનાર મારી સાથે છે. તેમણે મને એકલો મૂક્યો નથી; કારણ, તેમને જે ગમે છે તે જ હું હંમેશાં કરું છું.” 30 ઈસુની આ વાતો સાંભળીને ઘણાએ તેમના પર વિશ્વાસ મૂક્યો. સાચી અને કાયમી સ્વતંત્રતા 31 તેથી તેમના પર વિશ્વાસ મૂકનાર યહૂદીઓને તેમણે કહ્યું, “જો તમે મારું શિક્ષણ પાળો તો જ તમે મારા ખરા શિષ્ય છો. 32 તમે સત્યને જાણશો અને સત્ય તમને સ્વતંત્ર કરશે.” 33 તેમણે જવાબ આપ્યો, “અમે અબ્રાહામના વંશજો છીએ. અમે કદી કોઈના ગુલામ બન્યા નથી. તો પછી ‘તમે સ્વતંત્ર થશો’ એમ તમે શા માટે કહો છો?” 34 ઈસુએ તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: જે કોઈ પાપ કર્યા કરે છે તે પાપનો ગુલામ છે. 35 ગુલામ ઘરમાં કાયમ રહેતો નથી, પરંતુ પુત્ર કાયમ રહે છે. 36 તેથી જો પુત્ર તમને સ્વતંત્ર કરે તો તમે ખરેખર સ્વતંત્ર થશો. 37 મને ખબર છે કે તમે અબ્રાહામના વંશજો છો. છતાં મારું શિક્ષણ નહિ સ્વીકારવાને લીધે તમે મને મારી નાખવા માગો છો. 38 મારા પિતાએ મને જે દર્શાવ્યું છે તે હું કહી બતાવું છું, પણ તમે તમારા પિતાના કહ્યા પ્રમાણે કરો છો.” 39 તેમણે જવાબ આપ્યો, “અબ્રાહામ અમારો આદિપિતા છે.” ઈસુએ જવાબ આપ્યો, “જો તમે ખરેખર અબ્રાહામના વંશજો હોત, તો તેણે જેવાં કાર્ય કર્યાં એવાં તમે પણ કરત. 40 મેં તો તમને ઈશ્વરપિતા પાસેથી સાંભળેલું સત્ય જ કહ્યું છે. છતાં તમે મને મારી નાખવા માગો છો. અબ્રાહામે આવું કશું કર્યું નહોતું! 41 તમે તો તમારો પિતા જે કાર્ય કરતો હતો, તે જ કરો છો.” તેમણે કહ્યું, “અમે વ્યભિચારથી જન્મેલાં સંતાનો નથી. એકલા ઈશ્વર જ અમારા પિતા છે.” 42 ઈસુએ તેમને કહ્યું, “જો ઈશ્વર ખરેખર તમારા પિતા હોત, તો તમે મારા પર પ્રેમ કરત, કારણ, હું ઈશ્વર પાસેથી અહીં આવ્યો છું. 43 હું મારી પોતાની મેળે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે. તમે શા માટે મારી વાત સમજતા નથી? એટલા જ માટે કે તમે મારો સંદેશ સહી શક્તા નથી. 44 તમારો બાપ તો શેતાન છે. તમે તમારા બાપની દુર્વાસના પ્રમાણે ચાલો છો. તે આરંભથી જ મનુષ્યઘાતક હતો. તે સત્યને પક્ષે ઊભો રહ્યો નથી; કારણ, તેનામાં સત્ય છે જ નહિ. જૂઠું બોલવું તે તેને માટે સ્વાભાવિક છે, કારણ, તે જુઠ્ઠો છે અને જુઠ્ઠાનો બાપ છે. 45 હું સત્ય કહું છું એટલે જ તમે મારું માનતા નથી. 46 તમારામાંનો કોણ મારા પર પાપ પુરવાર કરી શકે તેમ છે? જો હું સત્ય કહું તો તમે મારું કેમ માનતા નથી? 47 જે ઈશ્વરનો છે તે ઈશ્વરનું સાંભળે છે; પણ તમે ઈશ્વરના નથી એટલે જ મારું સાંભળતા નથી.” 48 યહૂદીઓએ તેમને સંભળાવ્યું, “તું સમરૂની છે અને તને ભૂત વળગ્યું છે એમ અમે કહીએ છીએ તે શું સાચું નથી?” 49 ઈસુએ જવાબ આપ્યો, “મને ભૂત વળગ્યું નથી. હું મારા પિતાને માન આપું છું, પરંતુ તમે મારું અપમાન કરો છો. 50 હું મારું માન શોધતો નથી; એની ચિંતા કરનાર અને ન્યાય કરનાર તો બીજો છે. 51 હું તમને સાચે જ કહું છું: જો કોઈ મારા સંદેશને આધીન થશે તો તે કદી પણ મરશે નહિ.” 52 યહૂદીઓએ તેમને કહ્યું, “હવે અમે ખરેખર સમજી ગયા છીએ કે તને ભૂત વળગ્યું છે. અબ્રાહામ મરણ પામ્યો, ઈશ્વરના સંદેશવાહકો મરણ પામ્યા અને છતાં પણ તું કહે છે, ‘જો કોઈ મારા સંદેશને આધીન થશે તો તે કદી પણ મરશે નહિ?’ 53 અમારા આદિપિતા અબ્રાહામ કરતાં શું તું મોટો હોવાનો દાવો કરે છે? તે મરી ગયો, અને ઈશ્વરના સંદેશવાહકો પણ મરી ગયા. તું પોતાને શું સમજે છે?” 54 ઈસુએ જવાબ આપ્યો, “જો હું પોતાને માન આપું, તો એ માનનો કંઈ અર્થ નથી. મને માન આપનાર મારા પિતા, જેને તમે તમારા ઈશ્વર કહો છો, તે જ છે. 55 તમે તેમને ઓળખ્યા નથી, પરંતુ હું તેમને ઓળખું છું. જો હું એમ કહું કે હું તેમને ઓળખતો નથી, તો તમારી જેમ હું પણ જૂઠો ઠરું. પરંતુ હું તેમને ઓળખું છું અને તેમના સંદેશ અનુસાર વર્તુ છું. 56 મારો સમય જોવાનો મળશે એવી આશાથી તમારો પિતા અબ્રાહામ હરખાયો. તે સમય તેણે જોયો અને તેને આનંદ થયો.” 57 યહૂદીઓએ તેમને કહ્યું, “હજી તો તું પચાસ વર્ષનો પણ થયો નથી તો તેં અબ્રાહામને કેવી રીતે જોયો?” 58 ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: ‘અબ્રાહામના જન્મ પહેલાંનો હું છું.’ 59 ત્યારે તેમણે તેમને મારવા પથ્થરો લીધા, પરંતુ ઈસુ સંતાઈ જઈને મંદિરમાંથી બહાર નીકળી ગયા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide