Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યોહાન 4 - પવિત્ર બાઇબલ C.L.


ઈસુ અને સમરૂની સ્ત્રી

1 ફરોશીઓએ સાંભળ્યું કે ઈસુ યોહાનના કરતાં વધારે શિષ્યો બનાવે છે અને તેમને બાપ્તિસ્મા આપે છે.

2 હકીક્તમાં ઈસુ જાતે નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા.

3 ઈસુ એ સાંભળીને યહૂદિયા મૂકીને પાછા ગાલીલમાં ચાલ્યા ગયા.

4 તેમને સમરૂનના પ્રદેશમાં થઈને પસાર થવું પડયું.

5 તે સમરૂનના સૂખાર નગરમાં આવ્યા. યાકોબે પોતાના પુત્ર યોસેફને જે ખેતર આપ્યું હતું ત્યાંથી તે નગર નજીક હતું.

6 ત્યાં યાકોબનો કૂવો હતો અને મુસાફરીથી થાકેલા ઈસુ ત્યાં જ બેસી ગયા. ત્યારે બપોરનો સમય હતો.

7 એક સમરૂની સ્ત્રી પાણી ભરવા આવી. ઈસુએ તેને કહ્યું, “મને પાણી આપીશ?”

8 તેમના શિષ્યો ખોરાક ખરીદવા નગરમાં ગયા હતા.

9 તે સ્ત્રીએ જવાબ આપ્યો, “તમે યહૂદી છો અને હું સમરૂની છું, તો તમે મારી પાસે પાણી કેમ માગો છો?” કારણ, યહૂદીઓ સમરૂનીઓ સાથે કંઈ વ્યવહાર રાખતા નથી.

10 ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર કેવું દાન આપી શકે છે અને તારી પાસે પાણી માગનાર વ્યક્તિ કોણ છે તેની તને ખબર હોત તો તેં તેની પાસે માગણી કરી હોત અને તેણે તને જીવનનું પાણી આપ્યું હોત.”

11 તે સ્ત્રીએ કહ્યું, “સાહેબ, તમારી પાસે પાણી કાઢવા માટે તો કશું નથી અને કૂવો તો ઊંડો છે. તમે જીવનનું પાણી કેવી રીતે કાઢી શકો?

12 અમારા પૂર્વજ યાકોબે આ કૂવો અમને આપ્યો. તેણે, તેના પુત્રોએ અને તેનાં ઢોરઢાંકે તેમાંથી જ પાણી પીધું હતું. તમે તેના કરતાં પણ શું મહાન છો?”

13 ઈસુએ કહ્યું, “જે કોઈ આ પાણી પીએ તેને ફરીથી તરસ લાગવાની, પરંતુ જે કોઈ મેં આપેલું પાણી પીએ, તેને કદી તરસ લાગશે નહિ.

14 જે પાણી હું આપીશ તે તેના અંતરમાં ફૂટી નીકળતું ઝરણું બની રહેશે અને તેને સાર્વકાલિક જીવન આપશે.”

15 સ્ત્રીએ કહ્યું, “સાહેબ, એ જ પાણી મને આપો, જેથી મને ફરી તરસ લાગે નહિ, અને અહીં આવીને મારે પાણી ખેંચવું પડે નહિ.”

16 ઈસુએ કહ્યું, “જા, તારા પતિને બોલાવી લાવ.”

17 સ્ત્રીએ કહ્યું, “મારે પતિ નથી.”

18 ઈસુએ કહ્યું, “વાત તારી સાચી; તારે પતિ નથી. તું પાંચ પુરુષો સાથે રહી છે અને અત્યારે જેની સાથે રહે છે તે તારો પતિ નથી. તારું કહેવું તદ્ન ખરું છે.”

19 તે સ્ત્રીએ કહ્યું, “સાહેબ, તમે તો ઈશ્વરના સંદેશવાહક લાગો છો.

20 અમારા પૂર્વજો આ પર્વત પર ઈશ્વરનું ભજન કરતા, પરંતુ તમે યહૂદીઓ કહો છો કે ઈશ્વરનું ભજન માત્ર યરુશાલેમમાં જ કરવું જોઈએ.”

21 ઈસુએ તેને કહ્યું, “બહેન, મારી વાત માન, એવો સમય આવી રહ્યો છે, જ્યારે માણસો ઈશ્વરપિતાનું ભજન આ પર્વત પર કે યરુશાલેમમાં કરશે નહિ.

22 તમે સમરૂનીઓ કોનું ભજન કરો છો તે તમે જાણતા નથી, પણ અમે યહૂદીઓ કોનું ભજન કરીએ છીએ તે અમે જાણીએ છીએ; કારણ, ઉદ્ધાર યહૂદીઓમાંથી આવવાનો છે.

23 પરંતુ એવો સમય આવી રહ્યો છે, અરે, હાલ આવી ચૂક્યો છે, કે જ્યારે સાચા ભજનિકો પવિત્ર આત્માથી પ્રેરાઈને ઈશ્વરપિતાની સચ્ચાઈપૂર્વક ભક્તિ કરશે. ઈશ્વરપિતા એવા જ ભાવિકોની ઝંખના રાખે છે.

24 ઈશ્વર આત્માસ્વરૂપ છે અને તેમના ભજનિકોએ આત્માથી પ્રેરાઈને સચ્ચાઈપૂર્વક ભક્તિ કરવી જોઈએ.”

25 તે સ્ત્રીએ કહ્યું, “હું જાણું છું કે મસીહ (જે ખ્રિસ્ત કહેવાય છે) આવશે; અને જ્યારે તે આવશે ત્યારે અમને બધું જ કહી બતાવશે.”

26 ઈસુએ જવાબ આપ્યો, “તારી સાથે વાત કરનાર હું તે જ છું.”

27 તે જ વખતે ઈસુના શિષ્યો પાછા આવ્યા. ઈસુને સ્ત્રી સાથે વાત કરતા જોઈને તેમને ખૂબ નવાઈ લાગી, પણ “તમારે શું જોઈએ છે?” અને “તમે તેની સાથે શા માટે વાત કરો છો?” એવું તેમને કોઈએ પૂછયું નહિ.

28 પછી તે સ્ત્રી પોતાની ગાગર ત્યાં જ મૂકીને નગરમાં પાછી ગઈ અને તેણે લોકોને કહ્યું,

29 “આવો, અને અત્યાર સુધી મેં જે જે કર્યું તે બધું જ જેણે કહી દેખાડયું તે માણસને જુઓ. શું તે મસીહ હોઈ શકે?”

30 તેથી તેઓ નગર બહાર ઈસુની પાસે ગયા.

31 તે દરમિયાન શિષ્યોએ ઈસુને વિનંતી કરી, “ગુરુજી, થોડું જમી લો!”

32 પરંતુ તેમણે જવાબ આપ્યો, “મારી પાસે જે ખોરાક છે તેની તમને જરા પણ ખબર નથી.”

33 તેથી શિષ્યો અંદરોઅંદર પૂછવા લાગ્યા, “શું કોઈ તેમને માટે ખોરાક લાવ્યું હશે?”

34 ઈસુએ કહ્યું, “જેમણે મને મોકલ્યો છે તેની ઇચ્છા પૂરી કરવી અને જે ક્મ તેમણે મને સોંપ્યું છે તે પૂરું કરવું એ જ મારો ખોરાક છે.

35 શું તમે નથી કહેતા કે, ‘ચાર મહિના પછી કાપણીની મોસમ આવશે?’ હું તમને કહું છું: ખેતરો તરફ તમારી દૃષ્ટિ ફેરવો, તેઓ કાપણીને માટે પાકી ચૂક્યાં છે.

36 જે માણસ ફસલ કાપે છે તેને બદલો મળે છે અને સાર્વકાલિક જીવન માટે તે સંગ્રહ કરે છે. તેથી જે માણસ વાવે છે અને જે માણસ કાપે છે તેઓ બંને સાથે આનંદ પામશે.

37 “‘વાવે કોઈ અને લણે કોઈ’ એ કહેવત સાચી પડે છે.

38 જે ખેતરમાં તમે મહેનત કરી નથી, ત્યાં કાપણી કરવા મેં તમને મોકલ્યા છે. બીજાઓએ ત્યાં મહેનત કરી છે અને તમે તેનો લાભ ઉઠાવો છો.”

39 “જે કંઈ મેં કર્યું તે બધું જ તેમણે કહી દેખાડયું,” એવી સ્ત્રીની સાક્ષીને લીધે તે નગરના ઘણા સમરૂનીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો.

40 તેથી જ્યારે સમરૂનીઓ તેમની પાસે આવ્યા, ત્યારે તેમણે તેમને પોતાની સાથે રહેવા વિનંતી કરી. તેથી ઈસુ ત્યાં બે દિવસ રહ્યા.

41 બીજા ઘણાએ તેમની વાણી સાંભળીને વિશ્વાસ કર્યો.

42 અને તેમણે તે સ્ત્રીને કહ્યું, “અમે માત્ર તારા કહેવાથી વિશ્વાસ કરતા નથી, પરંતુ હવે અમે પોતે તેમને સાંભળ્યા છે અને અમને ખાતરી થઈ છે કે તે જ દુનિયાના ઉદ્ધારક છે.”


અધિક્રીનો પુત્ર સાજો કરાયો

43 બે દિવસ રહ્યા પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલ ગયા.

44 ઈસુએ પોતે જ કહ્યું હતું, “ઈશ્વરના સંદેશવાહકને પોતાના વતનમાં માન મળતું નથી.”

45 તે ગાલીલ આવ્યા ત્યારે ત્યાંના લોકોએ તેમનો સત્કાર કર્યો. કારણ, લોકો પાસ્ખાપર્વ સમયે યરુશાલેમ ગયા હતા અને પર્વ દરમિયાન ઈસુએ કરેલાં બધાં કામો તેમણે જોયાં હતાં.

46 જ્યાં ઈસુએ પાણીને દ્રાક્ષાસવમાં ફેરવી નાખ્યું હતું તે ગાલીલના કાના ગામમાં તે ફરીવાર ગયા. ત્યાં એક સરકારી અધિકારી હતો જેનો પુત્ર કાપરનાહુમમાં માંદો પડયો હતો.

47 ઈસુ યહૂદિયાથી ગાલીલ આવ્યા છે તેવું સાંભળીને તે તેમની પાસે ગયો અને તેમને વિનંતી કરી, “મારો પુત્ર મરવાની અણી પર છે; તમે આવીને તેને સાજો કરો.”

48 ઈસુએ તેને કહ્યું, “અદ્‍ભુત કાર્યો અને ચમત્કારો જોયા સિવાય તમે વિશ્વાસ કરવાના નથી.”

49 અધિકારીએ જવાબ આપ્યો, “પ્રભુ, મારો પુત્ર મરણ પામે તે પહેલાં મારી સાથે આવો.”

50 ઈસુએ તેને કહ્યું, “જા, તારો પુત્ર જીવતો રહેશે.” તે માણસ ઈસુના શબ્દો પર વિશ્વાસ મૂકીને ગયો.

51 ઘેર જતાં રસ્તામાં તેના નોકરો તેને સામા મળ્યા અને સમાચાર આપ્યા કે, “તમારો પુત્ર બચી ગયો છે!”

52 તેણે તેમને પૂછયું, “ક્યારથી તેની હાલત સુધરી?” તેમણે કહ્યું, “ગઈકાલે બપોરે એક વાગે તેનો તાવ ઊતરી ગયો.”

53 તેના પિતાને યાદ આવ્યું કે તે જ સમયે ઈસુએ તેને કહ્યું હતું, “તારો પુત્ર જીવતો રહેશે.” તેથી તેણે અને તેના આખા કુટુંબે વિશ્વાસ કર્યો.

54 યહૂદિયાથી ગાલીલ આવ્યા પછી ઈસુએ આ બીજું અદ્‍ભુત કાર્ય કર્યું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan