યોહાન 18 - પવિત્ર બાઇબલ C.L.ઈસુની ધરપકડ ( માથ. 26:46-56 ; માર્ક. 14:43-50 ; લૂક. 22:47-53 ) 1 ત્યાર પછી ઈસુ પોતાના શિષ્યો સાથે નીકળ્યા અને કિદ્રોનના નાળાને પેલે પાર ગયા. ત્યાં એક બગીચો હતો. ઈસુ તથા તેમના શિષ્યોએ તેમાં પ્રવેશ કર્યો. 2 ધરપકડ કરાવનાર યહૂદા તે જગ્યા જાણતો હતો. કારણ, ઈસુ પોતાના શિષ્યો સાથે ત્યાં ઘણીવાર મળતા હતા, 3 તેથી પોતાની સાથે સૈનિકોને તેમજ મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓએ મોકલેલા મંદિરના સંરક્ષકોને લઈને યહૂદાએ બગીચામાં પ્રવેશ કર્યો. તેઓ પાસે હથિયારો, ફાનસો તથા મશાલો હતાં. 4 પોતા પર જે વીતવાનું છે તે બધું જાણતા હોવાથી ઈસુએ આગળ આવીને તેમને પૂછયું, “તમે કોને શોધો છો?” તેમણે જવાબ આપ્યો, “નાઝારેથના ઈસુને.” 5 તેમણે કહ્યું, “હું તે જ છું.” ધરપકડ કરાવનાર યહૂદા પણ ત્યાં તેમની સાથે ઊભો હતો; 6 ઈસુએ જ્યારે કહ્યું, “હું તે જ છું,” ત્યારે તેઓ પાછા હઠીને જમીન પર ગબડી પડયા. 7 ઈસુએ તેમને ફરીથી પૂછયું, “તમે કોને શોધો છો?” તેમણે કહ્યું, “નાઝારેથના ઈસુને.” 8 ઈસુએ તેમને કહ્યું, “મેં તમને કહ્યું તો ખરું કે, હું તે જ છું; તેથી જો તમે મને શોધતા હો, તો આ લોકોને જવા દો.” 9 “તમે મને જે આપ્યાં, તેમનામાંથી મેં એકપણ ગુમાવ્યું નથી,” એવું જે તેમણે કહેલું તે સાચું પડે માટે તેમણે એમ કહ્યું. 10 સિમોન પિતર પાસે તલવાર હતી; તેણે એ તલવાર તાણીને પ્રમુખ યજ્ઞકારના નોકરને મારીને તેનો જમણો કાન કાપી નાખ્યો. એ નોકરનું નામ માલ્ખસ હતું. 11 ઈસુએ પિતરને કહ્યું, “તારી તલવાર તેના મ્યાનમાં પાછી મૂક, મારા પિતાએ મને આપેલો પ્યાલો શું હું ના પીઉં?” 12 સૈનિકોની ટુકડીએ, તેમના અમલદારે અને યહૂદી સંરક્ષકોએ ઈસુની ધરપકડ કરી અને તેમને બાંધીને પ્રથમ આન્નાસ પાસે લઈ ગયા. 13 એ તો તે વર્ષના પ્રમુખ યજ્ઞકાર ક્યાફાસનો સસરો હતો. 14 “પ્રજાને માટે એક માણસ માર્યો જાય એ તમારા હિતમાં છે,” એવી સલાહ ક્યાફાસે જ યહૂદીઓને આપી હતી. પિતરનો નકાર ( માથ. 26:69-70 ; માર્ક. 14:66-68 ; લૂક. 22:55-57 ) 15 સિમોન પિતર અને બીજો એક શિષ્ય ઈસુની પાછળ પાછળ જતા હતા. પેલો બીજો શિષ્ય પ્રમુખ યજ્ઞકારનો ઓળખીતો હોવાથી તે ઈસુની સાથે સાથે પ્રમુખ યજ્ઞકારના ઘરના ચોકમાં ગયો. 16 પિતર દરવાજાની બહાર ઊભો રહ્યો. પેલો બીજો શિષ્ય, જે પ્રમુખ યજ્ઞકારનો ઓળખીતો હતો, તે બહાર પાછો આવ્યો અને દરવાજો સાચવનારી છોકરીને કહીને પિતરને અંદર લઈ ગયો. 17 દરવાજે ઊભેલી એ છોકરીએ પિતરને કહ્યું, “શું તું પણ એ માણસનો શિષ્ય નથી?” પિતરે જવાબ આપ્યો, “ના, હું નથી.” 18 ઠંડી પડતી હોવાથી નોકરો અને સંરક્ષકો તાપણું કરી, ઊભા ઊભા તાપતા હતા. પિતર પણ તેમની સાથે ઊભો રહી તાપવા લાગ્યો. પ્રમુખ યજ્ઞકારના ઈસુને પ્રશ્ર્નો ( માથ. 26:59-66 ; માર્ક. 14:55-64 ; લૂક. 22:66-71 ) 19 પ્રમુખ યજ્ઞકારે ઈસુને તેમના શિષ્યો વિષે અને તેમના શિક્ષણ વિષે પૂછયું. 20 ઈસુએ જવાબ આપ્યો, “હું બધાની સાથે જાહેરમાં બોલ્યો છું; મારું બધું શિક્ષણ મેં ભજનસ્થાનો અને મંદિર, જ્યાં સઘળા યહૂદીઓ એકઠા થાય છે, ત્યાં આપ્યું હતું. હું કોઈ વાત ખાનગીમાં બોલ્યો નથી. 21 તો પછી મને શા માટે પૂછો છો? મારા શ્રોતાજનોને જ પૂછો ને! મેં શું કહ્યું હતું તે તેઓ જાણે છે.” 22 ઈસુએ એ કહ્યું ત્યારે ત્યાં ઊભેલા એક સંરક્ષકે તેમને તમાચો મારીને કહ્યું, “પ્રમુખ યજ્ઞકાર સાથે તું આવું બોલવાની હિંમત કરે છે!” 23 ઈસુએ તેને જવાબ આપ્યો, “જો મેં કંઈ ખોટું કહ્યું હોય, તો અહીં બધાની આગળ સાબિત કરી બતાવ. પણ મેં જે કહ્યું તે સાચું હોય તો તું મને શા માટે મારે છે?” 24 તેથી આન્નાસે તેને બાંધેલી હાલતમાં જ પ્રમુખ યજ્ઞકાર ક્યાફાસ પાસે મોકલ્યો. પિતરે ફરીથી કરેલો ઈસુનો નકાર ( માથ. 26:71-75 ; માર્ક. 14:69-72 ; લૂક. 22:58-62 ) 25 સિમોન પિતર હજી ત્યાં તાપતો ઊભો હતો. તેથી બીજાઓએ તેને કહ્યું, “શું તું પણ એ માણસના શિષ્યોમાંનો નથી?” પણ પિતરે એનો ઇનકાર કરતાં કહ્યું, “ના, હું નથી.” 26 પ્રમુખ યજ્ઞકારનો એક નોકર, જેનો પિતરે કાન કાપી નાખ્યો હતો તેનો જે સગો થતો હતો, તે બોલી ઊઠયો, “શું મેં તને તેની સાથે બગીચામાં જોયો ન હતો?” 27 પિતરે ફરીથી કહ્યું, “ના” અને તરત જ કૂકડો બોલ્યો. પિલાત સમક્ષ ઈસુ ( માથ. 27:1-2 , 11-14 ; માર્ક. 15:1-5 ; લૂક. 23:1-5 ) 28 તેઓ ઈસુને ક્યાફાસના ઘેરથી રાજભવનમાં લઈ ગયા. વહેલી સવારનો એ સમય હતો. પોતે અભડાઈ જાય નહિ અને પાસ્ખાનું ભોજન ખાઈ શકે તે માટે યહૂદીઓ રાજભવનમાં ગયા નહિ. 29 તેથી પિલાતે તેમની પાસે બહાર આવીને પૂછયું, “તમે આ માણસ પર શો આરોપ મૂકો છો?” 30 તેમણે જવાબ આપ્યો, “તેણે ગુનો કર્યો ન હોત, તો અમે તેને તમારી પાસે લાવ્યા ન હોત.” 31 પિલાતે તેમને કહ્યું, “તમે પોતે તેને લઈને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરો.” યહૂદીઓએ જવાબ આપ્યો, “અમને કોઈને મૃત્યુદંડ દેવાનો અધિકાર નથી.” 32 પોતે કેવા પ્રકારના મરણથી મરવાના છે, એ સૂચવતાં ઈસુએ જે કહ્યું હતું તે સાચું પડે માટે એ બન્યું. 33 પિલાતે મહેલમાં જઈને ઈસુને બોલાવ્યા. તેણે તેમને પૂછયું, “શું તું યહૂદીઓનો રાજા છે?” 34 ઈસુએ જવાબ આપ્યો, “આ પ્રશ્ર્ન તમારો પોતાનો છે કે પછી બીજાઓએ મારે વિષે તમને કંઈ કહ્યું છે?” 35 પિલાતે જવાબ આપ્યો, “શું તું એમ ધારે છે કે હું યહૂદી છું? તારા પોતાના જ લોકોએ અને મુખ્ય યજ્ઞકારોએ તને મારા હાથમાં સોંપ્યો છે. તેં શું કર્યું છે?” 36 ઈસુએ કહ્યું, “મારું રાજ આ દુનિયાનું નથી; જો મારું રાજ આ દુનિયાનું હોત, તો મારા અનુયાયીઓ મને યહૂદીઓના હાથમાં પડવા ન દેત, પણ લડાઈ કરત. પણ મારું રાજ અહીંનું નથી.” 37 તેથી પિલાતે તેને પૂછયું, “તો પછી તું રાજા છે, એમ ને?” ઈસુએ જવાબ આપ્યો, “તમે કહો છો કે હું રાજા છું. સત્યની સાક્ષી આપવા માટે જ હું આ દુનિયામાં જન્મ્યો છું. જે સત્યનો છે તે મારી વાત સાંભળે છે.” 38 પિલાતે પૂછયું, “સત્ય શું છે?” પછી પિલાત બહાર યહૂદીઓ પાસે પાછો ગયો અને તેમને કહ્યું, “એને સજાપાત્ર ઠરાવી શકાય તે માટે મને કોઈ કારણ મળતું નથી. ઈસુને મૃત્યુદંડ ( માથ. 27:15-31 ; માર્ક. 15:6-20 ; લૂક. 23:13-25 ) 39 પણ પાસ્ખાપર્વ દરમિયાન તમારો એવો રિવાજ છે કે મારે તમારે માટે એક કેદીને મુક્ત કરવો. તો શું હું તમારે માટે યહૂદીઓના રાજાને મુક્ત કરું? તમે શું ચાહો છો?” 40 તેઓ બૂમ પાડી ઊઠયા, “ના, ના, એને તો નહિ, પણ બારાબાસને!” હવે બારાબાસ તો લૂંટારો હતો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide