યોહાન 10 - પવિત્ર બાઇબલ C.L.ઘેટાંના વાડાનું ઉદાહરણ 1 “હું તમને સાચે જ કહું છું: જે કોઈ દરવાજે થઈને ઘેટાંના વાડામાં આવતો નથી પરંતુ બીજા કોઈ માર્ગેથી આવે છે તે ચોર અને લૂંટારો છે. 2 દરવાજે થઈને જે પ્રવેશ કરે છે તે ઘેટાંનો પાલક છે. 3 દરવાન તેને માટે દરવાજો ખોલે છે. તે નામ દઈને પોતાનાં ઘેટાંને બોલાવે છે, અને ઘેટાં તેનો સાદ સાંભળે છે. તે તેમને વાડાની બહાર લઈ જાય છે. 4 પોતાનાં ઘેટાંને બહાર લાવ્યા પછી તે તેમની આગળ ચાલે છે અને ઘેટાં તેમની પાછળ ચાલે છે; કારણ, ઘેટાં તેનો સાદ ઓળખે છે. 5 તેઓ કોઈ અજાણ્યાની પાછળ કદી ચાલશે નહિ. એથી ઊલટું, તેનાથી દૂર ભાગશે, કારણ, તેઓ તેનો સાદ ઓળખતાં નથી.” 6 ઈસુએ આ ઉદાહરણ કહ્યું, પરંતુ તે શું કહેવા માગે છે તે તેઓ સમજી શક્યા નહિ. ઉત્તમ ઘેટાંપાલક 7 તેથી ઈસુએ ફરી કહ્યું, “હું તમને સાચે જ કહું છું: ઘેટાંના વાડાનો દરવાજો હું છું. 8 મારી પહેલાં જેઓ આવ્યા, તેઓ બધા ચોર અને લૂંટારા હતા. પરંતુ ઘેટાંએ તેમનું સાંભળ્યું નહિ. 9 દરવાજો હું છું; જો કોઈ મારા દ્વારા પ્રવેશ કરે છે, તો તે ઉદ્ધાર પામશે. તે અંદર આવી શકશે અને બહાર લઈ જવાશે અને તેને ચારો મળશે. 10 ચોર તો ફક્ત ચોરી કરવા, હત્યા અને નાશ કરવા આવે છે; પણ હું એટલા માટે આવ્યો છું કે તેમને જીવન, હા, ભરપૂર જીવન મળે. 11 “હું ઉત્તમ ધેટાંપાલક છું; ઉત્તમ ઘેટાંપાલક પોતાનાં ઘેટાંને માટે પોતાનો જીવ આપી દેવા તૈયાર હોય છે. 12 ભાડૂતી માણસ, જે ઘેટાંપાલક કે ઘેટાંનો માલિક નથી તે વરુને આવતું જોઈને તેમને મૂકીને નાસી જાય છે, અને વરુ તેમના પર હુમલો કરે છે અને તેમને વેરવિખેર કરી નાખે છે. 13 ભાડૂતી માણસ નાસી જાય છે, કારણ, તે ભાડૂતી છે, અને તેને ઘેટાંની દરકાર નથી. 14 હું ઉત્તમ ઘેટાંપાલક છું. 15 જેમ પિતા મને ઓળખે અને હું પિતાને ઓળખું છું તેમ હું મારાં ઘેટાંને ઓળખું છું અને તેઓ મને ઓળખે છે અને હું તેમને માટે મારો જીવ આપું છું. 16 વળી, મારાં બીજાં ઘેટાં પણ છે, જે અત્યારે આ વાડામાં નથી. તેમને પણ મારે વાડામાં લાવવાં જોઈએ. તેઓ પણ મારો સાદ સાંભળશે અને આખરે એક ટોળું અને એક ઘેટાંપાલક બનશે. 17 “પિતા મને ચાહે છે, કારણ, હું મારો જીવ આપું છું; એ માટે કે હું તે પાછો લઉં. 18 કોઈ મારું જીવન મારી પાસેથી લઈ શકતું નથી. હું મારી સ્વેચ્છાએ તે અર્પી દઉં છું. તે આપવાનો અને પાછું લેવાનો મને અધિકાર છે. મારા પિતાએ મને એમ કરવાનો અધિકાર આપ્યો છે.” 19 ફરીથી તેમના આ શબ્દોને કારણે યહૂદીઓમાં ભાગલા પડયા. 20 તેમનામાંના ઘણા કહેવા લાગ્યા, “તેને ભૂત વળગ્યું છે! તે પાગલ થઈ ગયો છે! તમે તેનું કેમ સાંભળો છો?” 21 પરંતુ બીજાઓએ કહ્યું, “ભૂત વળગેલો માણસ આવા શબ્દો બોલી શકે? ભૂત આંધળાની આંખો કેવી રીતે ઉઘાડી શકે?” ઈસુનો નકાર 22 શિયાળાનો સમય હતો. યરુશાલેમના મંદિરની પ્રતિષ્ઠાનું પર્વ ઊજવવાના દિવસો આવ્યા હતા. 23 ઈસુ મંદિરમાં શલોમોનની પરસાળમાં ફરતા હતા. 24 યહૂદીઓ તેમને ઘેરી વળ્યા અને તેમને કહ્યું, “તું ક્યાં સુધી અમને ભ્રમમાં રાખીશ? જો તું મસીહ હોય તો અમને સાચેસાચું કહી દે.” 25 ઈસુએ જવાબ આપ્યો, “મેં તો તમને સાચેસાચું કહી દીધું છે, પણ તમે માનતા નથી. મારા પિતાના અધિકારથી જે કામો હું કરું છું તે મારે વિષે સાક્ષી પૂરે છે. 26 પરંતુ તમે મારું માનતા નથી; કારણ, તમે મારાં ઘેટાં નથી. 27 મારાં ઘેટાં મારો સાદ સાંભળે છે અને હું તેમને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. 28 હું તેમને સાર્વકાલિક જીવન આપું છું, અને તેઓ કદી મરશે નહિ, અને મારી પાસેથી કોઈ તેમને ઝૂંટવી શકશે નહિ. 29 મારા પિતાએ મને જે સોંપ્યું છે તે સૌથી મહાન છે, અને મારા પિતાની સંભાળમાંથી તેમને કોઈ ઝૂંટવી લઈ શકે તેમ નથી. 30 હું અને પિતા એક છીએ.” 31 પછી યહૂદીઓએ ફરીથી ઈસુને મારવા પથ્થર લીધા. 32 ઈસુએ તેમને કહ્યું, “પિતાએ સોંપેલાં ઘણાં સારાં કાર્યો મેં તમારી આગળ કર્યાં છે. એમાંના કયા કાર્યને લીધે તમે મને પથ્થરે મારવા તૈયાર થયા છો?” 33 યહૂદીઓએ જવાબ આપ્યો, “તારા કોઈ સારા કાર્યને માટે નહિ, પણ તારી ઈશ્વરનિંદાને લીધે, અને તું માનવી હોવા છતાં પોતે ઈશ્વર સમાન હોવાનો દાવો કરે છે તેને લીધે અમે તને પથ્થરે મારવા માગીએ છીએ.” 34 ઈસુએ જવાબ આપ્યો, “તમારા નિયમશાસ્ત્રમાં ‘ઈશ્વરે કહ્યું: તમે દેવો છો,’ એમ લખેલું નથી? 35 આપણે જાણીએ છીએ કે શાસ્ત્ર જે કહે છે તે સાચું છે. જેમને ઈશ્વરનો સંદેશ આપવામાં આવ્યો તેમને ઈશ્વરે દેવો કહ્યા. 36 તો પછી પિતાએ મને અલગ કરીને આ દુનિયામાં મોકલ્યો છે ત્યારે ‘હું ઈશ્વરપુત્ર છું.’ એમ કહેવામાં હું ઈશ્વરનિંદા કરું છું એવું તમે કઈ રીતે કહી શકો? 37 જો હું મારા પિતાનાં કાર્યો કરતો ન હોઉં, તો મારા પર વિશ્વાસ ન કરશો. 38 હું તે કાર્યો કરું છું, તે પરથી ય તમને મારામાં વિશ્વાસ ન હોય, તો પણ મારાં કાર્યોનો પુરાવો તો માન્ય રાખો; જેથી તમે સમજો અને જાણો કે પિતા મારામાં છે અને હું પિતામાં છું.” 39 ફરીવાર તેમણે તેમની ધરપકડ કરવા પ્રયત્ન કર્યો, પરંતુ તે તેમના હાથમાંથી છટકી ગયા. 40 પછી યર્દનને સામે પાર જ્યાં પહેલાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો તે સ્થળે ઈસુ પાછા ગયા અને ત્યાં રહ્યા. 41 ઘણા લોકો તેમની પાસે આવ્યા. તેઓ કહેતા, “યોહાને કોઈ અદ્ભુત કાર્ય કર્યું ન હતું, પરંતુ આ માણસ વિષે તેણે જે જે કહ્યું હતું તે સાચું ઠર્યું છે.” 42 અને ત્યાં ઘણા લોકોએ તેમના પર વિશ્વાસ મૂક્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide