યોહાન 1 - પવિત્ર બાઇબલ C.L.જીવનનો શબ્દ 1 સૃષ્ટિના આરંભ પહેલાં શબ્દનું અસ્તિત્વ હતું. તે ઈશ્વરની સાથે હતો, અને જે ઈશ્વર હતા તે જ તે હતો. 2 શબ્દ ઈશ્વરની સાથે આરંભથી જ હતો. 3 તેના દ્વારા જ ઈશ્વરે બધાંનું સર્જન કર્યું, અને તે સર્જનમાંની કોઈપણ વસ્તુ તેના વિના બનાવવામાં આવી ન હતી. 4 શબ્દ જીવનનું ઉદ્ભવસ્થાન હતો અને એ જીવન માનવી પાસે પ્રકાશ લાવ્યું. 5 આ પ્રકાશ અંધકારમાં પ્રકાશે છે, અને અંધકાર તેને કદી હોલવી શક્તો નથી. 6 ઈશ્વરે પોતાના સંદેશવાહક યોહાનને મોકલ્યો. 7 તે લોકોને એ પ્રકાશ વિષે સાક્ષી આપવા આવ્યો; જેથી બધા માણસો એનો સંદેશો સાંભળીને વિશ્વાસ કરે. 8 યોહાન પોતે એ પ્રકાશ ન હતો, પરંતુ પ્રકાશ વિષે તે સાક્ષી આપવા આવ્યો હતો. 9 ખરો પ્રકાશ તો એ હતો કે જે દુનિયામાં આવે છે અને સઘળા માણસો પર પ્રકાશે છે. 10 શબ્દ દુનિયામાં હતો. ઈશ્વરે તેના દ્વારા જ આ દુનિયા બનાવી; પણ દુનિયાએ તેને ઓળખ્યો નહિ. 11 તે પોતાના લોકોની પાસે આવ્યો, પરંતુ તેમણે તેનો સ્વીકાર કર્યો નહિ. 12 છતાં કેટલાકે તેનો સ્વીકાર કર્યો અને તેના નામ પર વિશ્વાસ મૂક્યો. તેથી તેણે તેમને ઈશ્વરનાં બાળકો થવાનો અધિકાર આપ્યો. 13 તેઓ માનવી પિતા દ્વારા શારીરિક જન્મથી નહિ પણ ઈશ્વર દ્વારા જન્મ પામીને ઈશ્વરનાં બાળકો બન્યાં. 14 શબ્દ માનવ તરીકે જનમ્યો અને તેણે આપણી વચ્ચે વસવાટ કર્યો. પિતાના એકનાએક પુત્રને છાજે તેવો, કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો. 15 યોહાને તેના વિષે સાક્ષી આપતાં પોકાર્યું, “જેમના સંબંધી હું કહેતો હતો કે, જે મારા પછીથી આવે છે પણ મારાથી મહાન છે, અને મારા જન્મ અગાઉ હયાત હતા તે જ આ વ્યક્તિ છે.” 16 તેમની કૃપાના ભરપૂરીપણામાંથી તેમણે આપણને બધાને આશિષ પર આશિષ આપી છે. 17 ઈશ્વરે મોશેની મારફતે નિયમશાસ્ત્ર આપ્યું, પરંતુ કૃપા અને સત્યતા તો ઈસુ ખ્રિસ્તની મારફતે આપવામાં આવ્યાં. 18 કોઈએ ઈશ્વરને કદી જોયા નથી. પુત્ર જે ઈશ્વર છે અને જે ઈશ્વરપિતાની અત્યંત નિકટ છે, માત્ર તેમણે જ ઈશ્વરને પ્રગટ કર્યા છે. બાપ્તિસ્મા કરનાર યોહાનનો સંદેશ ( માથ. 3:1-12 ; માર્ક. 1:1-8 ; લૂક. 3:1-18 ) 19 યરુશાલેમમાંના યહૂદી અધિકારીઓએ યજ્ઞકારોને અને લેવીઓને યોહાન પાસે મોકલીને તેને પુછાવ્યું, “તમારી ઓળખાણ આપશો?” 20 યોહાને જવાબ આપવાની ના પાડી નહિ, પરંતુ સ્પષ્ટ વાત કરી. તેમણે કહ્યું, “હું આવનાર મસીહ નથી.” 21 તેમણે તેને પૂછયું, “તો તમે કોણ છો? એલિયા છો?” યોહાને જવાબ આપ્યો, “ના, હું તે પણ નથી.” વળી તેમણે પૂછયું, “શું તમે આવનાર સંદેશવાહક છો?” તેણે જવાબ આપ્યો, “ના.” 22 એટલે તેમણે પૂછયું, “તો તમે છો કોણ? તમે પોતે તમારા વિષે શું કહો છો? કારણ, અમને મોકલનાર પાસે અમારે જવાબ લઈ જવાનો છે.” 23 યોહાને જવાબ આપ્યો, “ઈશ્વરના સંદેશવાહક યશાયાએ કહ્યું હતું તે પ્રમાણે હું તો ‘પ્રભુને માટે માર્ગ સરખો કરો,’ એવી વેરાનમાં બૂમ પાડનારની વાણી છું.” 24 આ પૂછપરછ કરનારાઓને ફરોશીઓએ મોકલ્યા હતા. 25 તેમણે યોહાનને પૂછયું, “જો, તમે આવનાર મસીહ નથી, એલિયા નથી કે આવનાર સંદેશવાહક નથી, તો તમે બાપ્તિસ્મા કેમ આપો છો?” 26 યોહાને જવાબ આપ્યો, “હું પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ તમારી મયે જે એક ઊભા છે તેમને તમે ઓળખતા નથી; 27 તે મારા પછીથી આવે છે, પરંતુ હું તો વાધરી છોડીને તેમનાં ચંપલ ઉતારવા જેવોય યોગ્ય નથી.” 28 યર્દન નદીના પૂર્વ કિનારે આવેલા બેથાનિયામાં જ્યાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો ત્યાં એ બધું બન્યું. ઈશ્વરનું હલવાન 29 બીજે દિવસે યોહાને ઈસુને પોતાની તરફ આવતા જોઈને પોકાર્યું, “જુઓ ઈશ્વરનું હલવાન! તે દુનિયાનાં પાપ દૂર કરે છે. 30 જેમને વિષે હું તમને કહેતો હતો કે, ‘એક માણસ મારા પછી આવે છે, પરંતુ તે મારા કરતાં મહાન છે; કારણ, તે મારા જન્મ પહેલાં હયાતી ધરાવે છે, તે જ આ વ્યક્તિ છે. 31 મને ખબર નહોતી કે તે કોણ હશે. પરંતુ ઇઝરાયલને તેમની ઓળખ થાય તે માટે હું પાણીથી બાપ્તિસ્મા આપું છું.” 32 યોહાને આ પ્રમાણે સાક્ષી આપી, “મેં આત્માને કબૂતરની જેમ આકાશમાંથી ઊતરતો અને તેમના પર સ્થિર થતો જોયો. 33 હું તેમને ઓળખી શક્યો નહોતો, પરંતુ મને પાણીથી બાપ્તિસ્મા કરવા મોકલનાર ઈશ્વરે મને કહ્યું હતું, ‘તું આત્માને જેના પર ઊતરતો અને સ્થિર થતો જોઈશ, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપનાર હશે.” 34 વળી, યોહાને કહ્યું, “મેં એ જોયું છે, અને હું તમને સાક્ષી આપું છું કે તે ઈશ્વરપુત્ર છે.” ઈસુના પ્રથમ શિષ્યો 35 બીજે દિવસે ફરીથી યોહાન પોતાના બે શિષ્યો સાથે ત્યાં હતો. 36 તેણે ઈસુને નજીકમાં ફરતા જોઈને કહ્યું, “જુઓ, ઈશ્વરનું હલવાન!” 37 પેલા બે શિષ્યો તેને તેમ કહેતો સાંભળીને ઈસુની પાછળ ગયા. 38 ઈસુએ પાછા વળીને તેમને પોતાની પાછળ આવતા જોઈને પૂછયું, “તમે શું શોધો છો?” તેમણે જવાબ આપ્યો, “રાબ્બી, (આ શબ્દનો અર્થ ‘ગુરુજી’ થાય છે) તમે ક્યાં વસો છો?” 39 તેમણે તેમને કહ્યું, “આવીને જુઓ.” તેથી તેઓ તેમની સાથે ગયા અને તે ક્યાં વસતા હતા તે જોયું અને બાકીનો દિવસ તેમની સાથે ગાળ્યો. ત્યારે બપોરના ચારેક વાગ્યા હતા. 40 યોહાનનું સાંભળીને ઈસુની પાછળ જનારામાં એક સિમોન પિતરનો ભાઈ આંદ્રિયા હતો. 41 સૌ પ્રથમ આંદ્રિયાએ પોતાના ભાઈ સિમોનને શોધી કાઢયો, અને તેને કહ્યું, “અમને મસીહ અર્થાત્ ખ્રિસ્ત મળ્યા છે.” 42 પછી તે સિમોનને ઈસુની પાસે લઈ ગયો. ઈસુએ સિમોન પર દૃષ્ટિ ઠેરવતાં કહ્યું, “યોહાનના દીકરા સિમોન, તું ‘કેફા’ (એટલે કે ‘પિતર’ અર્થાત્ ખડક) કહેવાશે.” અમને મસીહ મળ્યા છે 43 બીજે દિવસે ઈસુએ ગાલીલના પ્રદેશમાં જવાનું વિચાર્યું. તેમણે ફિલિપને શોધી કાઢયો, અને તેને કહ્યું, “મને અનુસર!” 44 ફિલિપ બેથસાઈદાનો વતની હતો; તે આંદ્રિયા તથા પિતરનું ગામ હતું. 45 ફિલિપે નાથાનાએલને મળીને કહ્યું, “જેના વિષે મોશેએ નિયમશાસ્ત્રમાં અને સંદેશવાહકોનાં પુસ્તકોમાં લખેલું છે, તે અમને મળ્યા છે. તે તો યોસેફના પુત્ર, નાઝારેથના ઈસુ છે.” 46 નાથાનાએલે પૂછયું, “અરે, નાઝારેથમાંથી કંઈ સારું નીપજે ખરું?” ફિલિપે જવાબ આપ્યો, “આવીને જો.” 47 ઈસુએ નાથાનાએલને પોતાની પાસે આવતો જોઈને કહ્યું, “આ ખરો ઇઝરાયલી છે! તેનામાં કંઈ કપટ નથી!” 48 નાથાનાએલે તેને પૂછયું, “તમે મને કેવી રીતે ઓળખો છો?” ઈસુએ જવાબ આપ્યો, “ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં તું અંજીરી નીચે ઊભો હતો, ત્યારે મેં તને જોયેલો.” 49 નાથાનાએલે જવાબ આપ્યો, “ગુરુજી, તમે ઈશ્વરના પુત્ર છો! તમે ઇઝરાયલના રાજા છો!” 50 ઈસુએ કહ્યું, “તું અંજીરી નીચે ઊભો હતો ત્યારે મેં તને જોયેલો, એમ મેં તને કહ્યું એટલા પરથી જ શું તું વિશ્વાસ કરે છે? અરે, એના કરતાં પણ વધુ મહાન બાબતો તું જોઈશ!” 51 તેમણે તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: તમે આકાશ ઊઘડી ગયેલું અને ઈશ્વરના દૂતોને આકાશમાંથી માનવપુત્ર ઉપર ઊતરતા અને આકાશમાં ચઢતા જોશો.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide