Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 42 - પવિત્ર બાઇબલ C.L.


યર્મિયાને પ્રાર્થના કરવા વિનંતી

1 પછી કારેઆનો પુત્ર યોહાનાન, હોશાયાનો પુત્ર યઝાન્યા અને બીજા બધા સેનાનાયકો તથા નાનામોટા, તમામ લોકોએ સંદેશવાહક યર્મિયા પાસે આવીને તેને વિનંતી કરી.

2 “અમે તને આગ્રહપૂર્વક આજીજી કરીએ છીએ કે તું તારા ઈશ્વર પ્રભુને અમારે માટે એટલે, આ સમગ્ર બચી ગયેલા શેષ સમુદાય માટે પ્રાર્થના કર. કારણ, તું જુએ છે કે ઘણામાંથી અમે થોડા જ બચ્યા છીએ.

3 તારા ઈશ્વર પ્રભુ અમારે ક્યાં જવું અને શું કરવું તે બતાવે માટે પ્રાર્થના કર.”

4 યર્મિયાએ ઉત્તર આપ્યો, “ભલે, હું તમારી વિનંતી પ્રમાણે તમારા ઈશ્વર પ્રભુને તમારે માટે પ્રાર્થના કરીશ અને પ્રભુ તમારે માટે જે જવાબ આપશે તે હું તમને જણાવીશ અને તેમાંથી કશું બાક્ત રાખીશ નહિ.”

5 પછી તેમણે યર્મિયાને કહ્યું, “તારા ઈશ્વર પ્રભુ અમારે માટે તને જે કહે તે પ્રમાણે અમે સંપૂર્ણપણે પાલન ન કરીએ તો પ્રભુ પોતે અમારી વિરુદ્ધ સાચા અને વિશ્વાસુ સાક્ષી થાઓ.

6 અમે તને અમારા ઈશ્વર પ્રભુ પાસે અમારી પ્રાર્થના રજૂ કરવા મોકલીએ છીએ. અમે તેમની વાણીને જરૂર આધીન થઈશું; પછી તે અમને સારું લાગે કે ખરાબ; કારણ, એમાં જ અમારું હિત સમાયેલું છે. અમે જરૂર અમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન થઈશું.”


યર્મિયાની પ્રાર્થનાનો ઉત્તર

7 દસ દિવસ પછી યર્મિયાને પ્રભુનો સંદેશ મળ્યો.

8 તેથી તેણે કારેઆના પુત્ર યોહાનાનને, તેની સાથેના સેનાનાયકોને તથા નાનામોટા સર્વ લોકોને બોલાવ્યા,

9 અને તેમને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ જેમની પાસે તમારી વિનંતી રજૂ કરવા તમે મને મોકલ્યો હતો તે આ પ્રમાણે કહે છે:

10 જો તમે આ દેશમાં જ રહેશો તો હું તમને બાંધીશ અને તોડી પાડીશ નહિ; હું તમને રોપીશ અને ઉખેડી નાખીશ નહિ. કારણ, જે વિપત્તિ હું તમારા પર લાવ્યો તે વિષે હું દિલગીર છું.

11 તમે બેબિલોનના રાજાથી ગભરાઓ છો, પણ તેનાથી ગભરાશો નહિ; કારણ, હું તમારી સહાય કરવા તમારી સાથે છું અને તમને તેમના સકંજામાંથી છોડાવીશ.

12 હું તમારા પર દયા દર્શાવું છું, તેથી તે પણ તમારા પર દયા દાખવશે, અને તમને તમારા વતનમાં પાછા જવા દેશે.”

13 પણ પ્રભુની વાણીને આધીન થવાનો ઈનકાર કરીને તમે એમ કહેશો કે, “અમે આ દેશમાં રહીશું નહિ,

14 પણ અમે તો ઇજિપ્ત ચાલ્યા જઈશું; ત્યાં અમારે યુદ્ધનો સામનો કરવો પડશે નહિ કે યુદ્ધની ચેતવણીના રણશિંગડાનો અવાજ પણ સાંભળવો પડશે નહિ, આહારને અભાવે ભૂખમરોય વેઠવો પડશે નહિ, અમે તો ત્યાં જ વસીશું.”

15 તો હે યહૂદિયાના શેષ રહેલા લોકો, પ્રભુનો સંદેશ સાંભળો. ઈઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે:

16 “જો તમે ખરેખર ઇજિપ્ત જવાનો નિર્ધાર કર્યો હોય અને જો ત્યાં જઈને સ્થાયી થાઓ, તો તમે યુદ્ધની બીક રાખો છો, પણ તે તમારો પીછો કરશે, તમે દુકાળથી ભયભીત થાઓ છો, પણ તે તમારી પાછળ છેક ઇજિપ્ત સુધી આવશે અને તમે બધા ત્યાં ભૂખે માર્યા જશો.

17 જેમણે ઇજિપ્ત જવાનો અને ત્યાં જ વસવાટ કરવાનો નિર્ણય કર્યો છે તે બધા યુદ્ધ, ભૂખમરો અને રોગચાળાથી માર્યા જશે. તેમના પર હું જે આફત લાવીશ તેમાંથી કોઈ બચી શકશે નહિ કે છટકી શકશે નહિ.”

18 વળી, ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “જેમ યરુશાલેમના લોકો ઉપર મેં મારો ક્રોધ અને કોપ રેડી દીધા તેમ જ જો તમે ઇજિપ્ત જશો તો ત્યાં હું તમારા પર મારો ક્રોધ રેડી દઈશ. ત્યાં તમે ધિક્કારપાત્ર, અને ત્રાસદાયક બનશો; લોકો તમને શાપ આપશે અને તમારી નિંદા કરશે અને આ સ્થાનને તમે ફરી કદી જોવા પામશો નહિ.”

19 પછી યર્મિયાએ કહ્યું, “હે યહૂદિયાના શેષ રહેતા લોકો, પ્રભુએ તમને ઇજિપ્ત જવાની ના પાડી છે, તેથી હું તમને ચેતવણી આપું છું કે,

20 તમે ભયાનક ભૂલ કરી રહ્યા છો. કારણ, તમે જાતે જ મને તમારા ઈશ્વર પ્રભુ પાસે પ્રાર્થના કરવા મોકલ્યો હતો, અને મને કહ્યું હતું કે, ‘તું અમારે માટે અમારા ઈશ્વર પ્રભુને પ્રાર્થના કર. અમારા ઈશ્વર પ્રભુ શું કહે છે તે અમે જાણવા માંગીએ છીએ અને અમે તે પ્રમાણે કરીશું.’

21 હવે મેં તમને બધું જણાવ્યું છે, છતાં તમારા ઈશ્વર પ્રભુએ મારા દ્વારા કહેવડાવ્યું છે તે તેમની વાણીને તમે આધીન થતા નથી.

22 તેથી આટલું તો યાદ રાખજો. તમે જ્યાં જઈને વસવાટ કરવા ચાહો છો, ત્યાં તમે યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી માર્યા જશો.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan