યર્મિયા 24 - પવિત્ર બાઇબલ C.L.અંજીરની બે ટોપલીઓ 1 પ્રભુએ મને મંદિરની સામે મુક્યેલી અંજીરની બે ટોપલીઓ બતાવી. બેબિલોનનો રાજા નબૂખાદનેસ્સાર, યહોયાકીમના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાખીનને, તેના અધિકારીઓ, કારીગરો તથા લુહારો સહિત યરુશાલેમમાંથી કેદ કરીને બેબિલોન લઈ ગયો ત્યાર પછીની એ વાત છે. 2 પહેલી ટોપલીમાં પહેલા ફાલનાં પાકેલાં સારાં અંજીર હતાં; પણ બીજી ટોપલીમાં અતિશય ખરાબ એટલે ખવાય પણ નહિ એવાં બગડી ગયેલાં અંજીર હતાં. 3 તે પછી પ્રભુએ મને પૂછયું, “યર્મિયા, તેં શું જોયું?” મેં ઉત્તર આપ્યો, “હું અંજીર જોઉં છું. સારાં અંજીર ખૂબ સારાં છે અને ખરાબ અંજીર ખવાય પણ નહિ એટલાં બગડી ગયેલાં છે.” 4-5 તેથી પ્રભુએ મને કહ્યું, “હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહું છું: યહૂદિયાના જે લોકોને મેં તેમના હિતને માટે બેબિલોન દેશમાં દેશનિકાલમાં મોકલ્યા છે તેમને હું સારાં અંજીર જેવા ગણું છું. 6 હું તેમના પર મારી કૃપાદષ્ટિ રાખીશ અને આ દેશમાં તેમને પાછા લાવીશ. હું તેમને તોડી પાડીશ નહિ, પણ તેમને બાંધીશ; અને તેમને ઉખેડી નાખીશ નહિ, પણ તેમને રોપીશ. 7 હું તેમને એવું મન આપીશ કે તેઓ મને તેમના પ્રભુ તરીકે કબૂલ કરશે, તેઓ ફરી મારા લોક બનશે અને હું તેમનો ઈશ્વર થઈશ. કારણ, તેઓ પૂરા દયથી મારી તરફ વળશે.” 8 પરંતુ પ્રભુ કહે છે કે, “યહૂદિયાના રાજા સિદકિયા, તેના અધિકારીઓ અને યરુશાલેમના બાકી રહી ગયેલા લોકો જેઓ આ દેશમાં રહ્યા છે કે ઇજિપ્તમાં જઈને વસ્યા છે તે બધાને હું પેલા ખવાય પણ નહિ એવાં બગડી ગયેલાં ખરાબ અંજીરની જેમ તજી દઈશ. 9 હું તેમના પર એવો ત્રાસ વર્તાવીશ કે તેમને જોઈને દુનિયાના બધા દેશોમાં હાહાકાર મચી જશે. હું જ્યાં જ્યાં તેમને હાંકી કાઢીશ ત્યાં ત્યાં લોકો તેમની નિંદા અને મશ્કરી કરશે; તેમને મહેણાં મારશે અને શાપ આપશે. 10 હું તેમના પર યુદ્ધ, દુકાળ, અને રોગચાળો મોકલીશ. જેથી મેં તેમને તથા તેમના પૂર્વજોને જે દેશ આપ્યો છે તેમાંથી તેઓ નાબૂદ થઈ જશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide