2 કરિંથીઓ 2 - પવિત્ર બાઇબલ C.L.1 તેથી તમારી સાથેની મારી હવે પછીની મુલાકાત તમને ખેદિત કરવાની ન હોય એવો મેં નિર્ધાર કર્યો છે. 2 કારણ, જો હું તમને ખેદ પમાડું, તો પછી મને આનંદિત કરનાર કોણ રહેશે? જેમને મેં ખેદ પમાડયો તેઓ જ. 3 હું તમારી પાસે આવું ત્યારે મને આનંદિત કરનારા લોકોથી જ મારે ખિન્ન ન થવું પડે માટે જ મેં તમને પેલો પત્ર લખ્યો હતો. પણ મને ખાતરી થઈ છે કે જ્યારે હું આનંદિત છું, ત્યારે તમે બધા આનંદિત છો. 4 મેં તમારા પર બહુ જ વ્યથિત અને શોક્તિ હૃદયથી તથા આંસુઓ સહિત લખ્યું હતું. હવે, તે તમને ખેદ પમાડવા માટે નહિ, પણ હું તમારા પર કેટલો બધો પ્રેમ રાખું છું, તે તમે સમજો માટે લખ્યું હતું. પતિતને ક્ષમા કરો 5 જો કોઈએ કોઈને ખેદ પમાડયો હોય; તો તેણે મને નહિ પણ કંઈક અંશે તમને બધાને ખિન્ન કર્યા છે. (એ વિશે હું વિશેષ ભાર મૂકવા માગતો નથી) 6 તમે એવી વ્યક્તિને બહુમતીથી શિક્ષા કરી છે તેટલું બસ છે. 7 હવે તમારે તેને ક્ષમા આપવી જોઈએ, અને ઉત્તેજન આપવું જોઈએ; જેથી તે અતિશય ખિન્નતાથી હતાશ થઈ ન જાય. 8 તેથી હું તમને વિનંતી કરું છું કે તમે ફરીથી એને તમારા પ્રેમની પ્રતીતિ કરાવો. 9 આ જ કારણને લીધે મેં તમને પેલો પત્ર લખ્યો હતો: મારે જાણવું હતું કે, તમે ક્સોટીમાંથી કેવી રીતે પાર ઊતર્યા અને ખરેખર તમે મારી સૂચનાઓને આધીન થયા છો કે નહિ. 10 જો કોઈને તમે ક્ષમા કરો છો, તો હું પણ તેને ક્ષમા કરું છું. કારણ, જો મારે ખરેખર કંઈ ક્ષમા આપવાની જ હોય તો જ્યારે હું ક્ષમા કરું છું ત્યારે તે તમારે માટે ખ્રિસ્તની સમક્ષતામાં કરું છું. 11 જેથી શેતાન આપણા પર ફાવી ન જાય. કારણ આપણે તેની ચાલાકીઓથી માહિતગાર છીએ. ત્રોઆસમાં પાઉલની ચિંતા 12 હવે ખ્રિસ્તનો શુભસંદેશ પ્રગટ કરવાને માટે હું ત્રોઆસમાં આવ્યો, ત્યારે પ્રભુએ ત્યાં કાર્ય કરવાનું દ્વાર ઉઘાડયું હતું તેની મને ખબર પડી. 13 પણ મારો ભાઈ તિતસ મને ત્યાં ન મળ્યો તેથી મને ઘણી ચિંતા થઈ. માટે ત્યાંના લોકોની વિદાય લઈ હું મકદોનિયા ગયો. ખ્રિસ્ત દ્વારા વિજય 14 પણ ઈશ્વરનો આભાર માનો; કારણ, ખ્રિસ્તમાં મેળવાયા હોવાથી ઈશ્વર આપણને હંમેશાં ખ્રિસ્તની વિજયકૂચમાં બંદીવાન તરીકે દોરી જાય છે. ખ્રિસ્ત વિષેનું જ્ઞાન સુગંધરૂપે સર્વત્ર ફેલાઈ જાય માટે ઈશ્વર આપણો ઉપયોગ કરે છે. 15 કારણ, ખ્રિસ્તે આપણને સુગંધી ધૂપ તરીકે ઈશ્વરને અર્પણ કર્યાં છે અને એની સુગંધ ઉદ્ધાર પામી રહેલા અને નાશમાં જઈ રહેલા લોકો મયે પ્રસરે છે. 16 જેઓ નાશમાં જઈ રહ્યા છે, તેમને માટે તે જીવલેણ દુર્ગંધ છે, જ્યારે જેઓ ઉદ્ધાર પામી રહ્યા છે તેમને માટે તે જીવનદાયક સુગંધ છે. તો આવું કાર્ય કરવા માટે કોણ યોગ્ય છે? 17 ઘણાઓની જેમ અમે ઈશ્વરના સંદેશામાં ભેળસેળ કરનારા નથી. પણ, ઈશ્વરે અમને મોકલ્યા હોવાથી ખ્રિસ્તના સેવકો તરીકે અમે ઈશ્વરની સમક્ષ નિષ્ઠાપૂર્વક બોલીએ છીએ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide