Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 યોહાન 5 - પવિત્ર બાઇબલ C.L.


દુનિયા પર વિજય

1 ઈસુ એ જ મસીહ છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે તે ઈશ્વરનું સંતાન છે. જે કોઈ પિતા પર પ્રેમ રાખે છે તે પિતાનાં અન્ય સંતાન પર પણ પ્રેમ રાખે છે.

2 ઈશ્વર પર પ્રેમ કરવાથી અને તેમની આજ્ઞાઓ પાળવાથી આપણે ઈશ્વરનાં સંતાનો પર પ્રેમ રાખીએ છીએ તેની ખાતરી થાય છે.

3 ઈશ્વર પર પ્રેમ કરવો એટલે જ તેમની આજ્ઞાઓનું પાલન કરવું, અને તેમની આજ્ઞાઓનું પાલન બહુ અઘરું નથી.

4 કારણ, ઈશ્વરનું પ્રત્યેક સંતાન દુનિયાને જીતી શકે છે. આપણા વિશ્વાસની મારફતે આપણે દુનિયા પર વિજય મેળવી શકીએ છીએ.

5 ઈસુ તે જ ઈશ્વરપુત્ર છે એવો વિશ્વાસ કરનાર સિવાય બીજું કોણ દુનિયાને જીતી શકે?


ઈસુ ખ્રિસ્ત વિષેની સાક્ષી

6 ઈસુ ખ્રિસ્ત, પાણીથી અને રક્તથી આવ્યા. તે ફક્ત પાણીથી જ નહિ, પણ પાણી અને રક્ત બન્‍નેથી આવ્યા. આ વાત સાચી છે એવી સાક્ષી પવિત્ર આત્મા આપે છે. કારણ, પવિત્ર આત્મા સત્ય છે. કુલ ત્રણ સાક્ષીઓ છે:

7-8 પવિત્ર આત્મા, પાણી અને રક્ત, અને એ ત્રણ એક જ પ્રકારનો સાક્ષી આપે છે.

9 માણસોની સાક્ષી આપણે માનીએ છીએ; તો પછી ઈશ્વરની સાક્ષી તેના કરતાં પણ સબળ છે. ઈશ્વરે પોતાના પુત્ર વિષે એવી સાક્ષી આપી છે.

10 આથી જે કોઈ ઈશ્વરપુત્ર પર વિશ્વાસ કરે છે તેના હૃદયમાં એ સાક્ષી છે. પણ જે કોઈ વિશ્વાસ કરતો નથી તેને ઈશ્વરે જૂઠો ઠરાવ્યો છે. કારણ, ઈશ્વરે તેમના પુત્ર વિષે જે સાક્ષી આપી છે તે પર તેણે વિશ્વાસ કર્યો નથી.

11 તે સાક્ષી આ છે: ઈશ્વરે આપણને સાર્વકાલિક જીવન આપ્યું છે અને આ જીવન તેમના પુત્રમાં છે.

12 જેને ઈશ્વરપુત્ર છે તેને જીવન છે અને જેને ઈશ્વરપુત્ર નથી તેને જીવન નથી.


સાર્વકાલિક જીવન

13 તમને સાર્વકાલિક જીવન છે તેવું તમે જાણો માટે હું તમને આ વાતો લખું છું, જેથી તમે ઈશ્વરપુત્રના નામ પર વિશ્વાસ મૂકી શકો.

14 તેમની સમક્ષ આપણને હિંમત છે. કારણ, તેમની ઇચ્છા પ્રમાણે આપણે જે કંઈ માગીએ તે તે આપે છે.

15 આપણે જ્યારે તેમને વિનંતી કરીએ છીએ ત્યારે તે આપણું સાંભળે છે. એ વાત સાચી છે એવું આપણે જાણતા હોવાથી આપણે તેમની પાસેથી જે કંઈ માગીએ તે તે આપણને આપે છે.

16 જેનાથી મરણ ન થાય એવું પાપ કરતાં જો કોઈ પોતાના ભાઈને જુએ તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી; જેથી ઈશ્વર તેને જીવન આપે. મરણ ન થાય તેવા પાપ માટે આ નિયમ છે. મરણ નિપજાવે તેવું પણ પાપ છે, અને તેને માટે ઈશ્વરને વિનંતી કરવાનું હું તમને કહેતો નથી.

17 સર્વ દુરાચાર પાપ છે અને મરણકારક નથી તેવું પણ પાપ છે.

18 આપણે જાણીએ છીએ કે ઈશ્વરનું સંતાન પાપ કર્યા કરતું નથી. કારણ, ઈશ્વરપુત્ર તેને સંભાળે છે અને દુષ્ટ તેને ઇજા પહોંચાડી શક્તો નથી.

19 આપણે જાણીએ છીએ કે સમગ્ર દુનિયા દુષ્ટના અધિકાર નીચે છે, પણ આપણે આપણા ઈશ્વરનાં છીએ.

20 આપણે જાણીએ છીએ કે ઈશ્વરપુત્રે આવીને આપણને સમજણ આપી હોવાથી આપણે સાચા ઈશ્વરને ઓળખીએ છીએ. આપણું જીવન સાચા ઈશ્વરમાં એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં છે. એ જ સાચા ઈશ્વર અને એ જ સાચું સાર્વકાલિક જીવન છે.

21 મારાં બાળકો, મૂર્તિઓથી દૂર રહો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan