સંદર્શન 20 - પવિત્ર બાઈબલ1,000 વર્ષો 1 મેં એક દૂતને આકાશમાંથી નીચે આવતાં જોયો. તે દૂત પાસે અસીમ ઊંડાણની ચાવી હતી. તેમજ તેના હાથમાં એક મોટી સાંકળ પણ હતી. 2 તે દૂતે તે અજગર એટલે ઘરડા સાપને પકડ્યો. તે અજગર શેતાન છે. દૂતે 1,000 વર્ષ માટે તેને સાંકળથી બાંધ્યો. 3 તે દૂતે તે અજગરને અસીમ ઊંડાણમાં નાખ્યો અને તેને બંધ કર્યું. તે દૂતે તાળું મારી તેના પર મહોર મારી. તે દૂતે આ કર્યું, જેથી તે સાપ 1,000 વર્ષ પૂરા થતાં સુધી પૃથ્વીના લોકોને ફરીથી ભ્રમિત કરી શકે નહિ. (1,000 વર્ષ પછી તે અજગરને થોડાક સમય માટે મુક્ત કરાશે.) 4 પછી મેં કેટલાંક રાજ્યાસનો અને લોકોને તેઓના પર બેઠેલા જોયા. આ તે લોકો હતા, જેઓને ન્યાય કરવાનો અધિકાર અપાયો હતો અને મેં એ લોકોના આત્માઓ જોયા. જેઓનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. કારણ કે તેઓ ઈસુના સત્યને અને દેવ તરફથી આવેલ સંદેશને વફાદાર હતા. એ લોકો તે પ્રાણીને કે તેની મૂર્તિને પૂજતા ન હતા. તેઓનાં કપાળ પર કે તેઓનાં હાથો પર પ્રાણીની છાપ ન હતી. તે લોકો ફરીથી સજીવન થયા અને ખ્રિસ્ત સાથે તેઓએ 1,000 વર્ષ રાજ્ય કર્યું. 5 (બીજા મરેલા લોકો 1,000 વર્ષ પૂરાં થતાં સુંધી ફરીથી સજીવન થયા નહિ.) આ પ્રથમ પુનરુંત્થાન છે. 6 એ લોકો જેનો પ્રથમ પુનરુંત્થાન માં ભાગ છે તે લોકો ધન્ય અને પવિત્ર છે. તે લોકો પર બીજા મૃત્યુનો અધિકાર નથી. તે લોકો દેવના તથા ખ્રિસ્તના યાજકો થશે. તેઓ 1,000 વર્ષ માટે તેની સાથે રાજ કરશે. શેતાનની હાર 7 જ્યારે 1,000 વર્ષ પૂરા થશે ત્યારે શેતાનને તેના અસીમ ઊંડાણમાંથી, બંદીખાનામાંથી મુક્ત કરવામાં આવશે. 8 પૃથ્વી પરના બધા રાષ્ટ્રોને ગોગ અને માગોગને ભ્રમિત કરવા તે બહાર જશે. શેતાન લોકોને લડાઈ માટે ભેગા કરશે. ત્યાં એટલા બધા લોકો હશે, જેથી તેઓ સમુદ્ર કિનારા પરની રેતી જેવા હશે. 9 શેતાનના લશ્કરે પૃથ્વીની આખી સપાટી પર કૂચ કરીને દેવના લોકોની છાવણીની આજુબાજુ અને તે શહેર જેને દેવ ચાહે છે તેની આજુબાજુ ઘેરો ઘાલ્યો. પણ આકાશમાંથી અગ્નિ નીચે ઊતર્યો અને શેતાનના લશ્કરનો વિનાશ કર્યો. 10 અને શેતાન ગંધકના સળગતા સરોવરમાં પ્રાણી અને જૂઠા પ્રબોધક સાથે ફેંકાયો હતો. ત્યાં તેઓને દિવસ અને રાત સદાસર્વકાળ વેદના ભોગવવી પડશે. પૃથ્વીના લોકોનો ન્યાય 11 પછી મેં એક મોટું શ્વેત રાજ્યાસન જોયું. એક જે રાજ્યાસન પર બેઠો હતો તેને મેં જોયો. પૃથ્વી અને આકાશ તેનાથી દૂર જતાં રહ્યા; અને અદશ્ય થઈ ગયા. 12 અને મેં તે લોકોને જેઓ મૃત્યુ પામ્યા હતા એવા નાના મોટા સર્વને રાજ્યાસન આગળ ઊભેલા જોયા. કેટલાક પુસ્તકો ઉઘાડ્યાં હતાં તેની સાથે જીવનનું પુસ્તક પણ ઉઘાડ્યું હતું. આ મૃત્યુ પામેલા લોકોનો તેઓએ કરેલાં કૃત્યોનો ન્યાય કરવામાં આવ્યો. આ વસ્તુઓ તે પુસ્તકોમાં લખેલી છે. 13 સમુદ્ર તેનામાં જે મૃત્યુ પામેલા લોકો હતા. તેઓને પણ પાછા આપી દીધા અને મૃત્યુ તથા હાદેસે પણ પોતાનામાં રહેલા મૃત લોકોને પણ પાછા આપ્યાં. પ્રત્યેક વ્યકિતનો તેઓએ કરેલા કૃત્યો પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. 14 અને મૃત્યુ અને હાદેસને અગ્નિના સરોવરમાં નાખવામાં આવ્યાં. આ અગ્નિનું સરોવર એ બીજું મરણ છે. 15 અને જે કોઈ વ્યક્તિ જીવનના પુસ્તકમાં નોંધાયેલો ન મળ્યો તે વ્યક્તિને આગ્નિની ખાઈમાં ફેંકી દેવામાં આવ્યો. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International