યશાયા 7 - પવિત્ર બાઈબલયશાયા દેવનો સંદેશાવાહક 1 તે સમયે ઉઝિઝયાનો પૌત્ર અને યોથામનો પુત્ર આહાઝ યહૂદામા શાસન કરતો હતો ત્યારે અરામના રાજા રસીને તથા ઇસ્રાએલના રાજા રમાલ્યાના પુત્ર પેકાહ સાથે યરૂશાલેમ ઉપર ચઢાઇ કરી, પણ તેને કબજે ન કરી શક્યો. 2 જ્યારે યહૂદાના રાજાને એ સમાચાર મળ્યા કે, “અરામીઓએ એફ્રાઇમ લોકો સાથે જોડાણ કર્યું છે.” ત્યારે રાજા અને પ્રજાના હૈયા વનનાં વૃક્ષો પવનથી ધ્રુજે એમ ધ્રૂજવા લાગ્યાં. 3 ત્યારબાદ યહોવાએ યશાયાને કહ્યું, “જા, તારા પુત્ર શઆર-યાશૂબને લઇને ધોબીઘાટને રસ્તે આવતા ઉપલા કુંડના નાળાના છેડે આહાઝને મળવા જાઓ. 4 “અને તેને કહે કે, ‘મક્કમ રહેજે. ગભરાઇશ નહિ અને હિંમત હારીશ નહિ અરામી રસીન અને રમાલ્યાનો પુત્ર તો ઓલવાઇ જતી મશાલ જેવા છે, તેમના ગુસ્સાથી તમે ડરશો નહિ. 5 અરામીઓએ ઇસ્રાએલીઓ સાથે અને તેમના રાજા જે રમાલ્યાના પુત્ર છે તેની સાથે હાથ મિલાવીને તારી વિરુદ્ધ કાવત્રું રચ્યું છે. 6 તેઓ કહે છે, અમે યહૂદા પર ચઢાઇ કરીશું અને તેને કબજે કરીશું. પછી અમે યરૂશાલેમ પર ચઢાઇ કરીશું અને ટાબએલના પુત્રને તેઓનો રાજા બનાવીશું.’” 7 પણ યહોવા મારા દેવ કહે છે, “આ યોજના સફળ થશે નહિ. 8 કારણ કે દમસ્ક, અરામની રાજધાની છે. અને રસીન દમસ્કનો નેતા છે. અને પાંસઠ વર્ષમાં એફ્રાઇમ પણ નાશ પામશે. 9 સમરૂન એફ્રાઇમ ની રાજધાની છે. અને પેકાહ સમરૂનનો નેતા છે. શું તમે મારા શબ્દોને માનશો નહિ? હું તમારુ રક્ષણ કરું તેવું તમે ઇચ્છતા હો તો તમે, હું જે કહું તે વાતમાં વિશ્વાસ રાખવાનું જરુંર શીખો.” ઈમ્માનુએલ – દેવ આપણી સાથે છે 10 થોડા વખતમાં આહાઝ રાજા ઉપર યહોવાએ બીજો સંદેશો મોકલ્યો: 11 “યહોવાને, તારા દેવને એંધાણી બતાવવા કહે; પછી ભલે એ નીચામાં નીચા પાતાળમાંથી કે, ઊંચામાં ઊંચા આકાશમાંથી બતાવે.” 12 પરંતુ આહાઝે કહ્યું, “ના, મારે એંધાણીની માંગણી કરી યહોવાની કસોટી કરવી નથી.” 13 ત્યારે યશાયાએ જવાબ આપ્યો, “સાંભળ, દાઉદના વંશજ. તું માણસોને વાજ આણીને ધરાયો નથી? તારે મારા દેવને પણ વાજ આણવો છે?” 14 એટલે યહોવા પોતે તમને એંધાણી બતાવશે: જુઓ, એક કુમારીને ગર્ભ રહ્યો છે, અને તે એક પુત્રને જન્મ આપશે. અને તેનું નામ “ઇમ્માનુએલ” એટલે કે આપણી સાથે દેવ એવું પડશે. 15 તે સારાસારનો વિવેક કરતો થાય, ત્યાં સુધીમાં તો તે દહીં અને મધ ખાતો થઇ ગયો હશે. 16 એ બાળક નરસાનો ત્યાગ કરી, સારાને પસંદ કરતા શીખશે. તે પહેલાઁ તું જેનાથી ભયભીત થાય છે તે બે રાજાઓના દેશો ઉજ્જડ થઇ જશે. 17 “એફ્રાઇમ યહૂદાથી જુદો પડ્યો ત્યાર પછી આવ્યા નહોતા એવા દિવસો યહોવા તારા પર, તારી પ્રજા પર તથા તારા બાપના કુટુંબ પર લાવશે. તે આશ્શૂરના રાજાને બોલાવી લાવશે. 18 “તે દિવસે યહોવા મિસરની નદીની દૂરની શાખાઓમાંથી સીટી મારીને માખીઓને અને આશ્શૂરમાંથી મધમાખીઓને બોલાવશે. 19 તે બધી આવીને, કરાડોની બખોલમાં અને ખડકોની ફાંટોમાં વાસો કરશે, ઝાંખરાં અને બીડો તેમનાથી ઢંકાઇ જશે. 20 તે દિવસે યહોવા નદીને સામે કાંઠેથી ભાડે લાવેલા અસ્ત્રા વડે તમારું માથું અને પગોના મૂંડી નાખશે, અને તમારી દાઢી પણ છોલી નાખશે. 21 “તે દિવસે પ્રત્યેક માણસ એક વાછરડું અને બે ઘેટાં પાળી શકશે. 22 અને તે તેઓથી દૂધ મેળવશે જે ફકત દહીં ખાવા જેટલું જ પૂરતું થશે. અને જે બધા પ્રદેશમાં બાકી રહી ગયા હશે તે બધાં દહીં અને મધ ખાશે. 23 તે દિવસે જે જે જગાએ 1,000 ચાંદીના ટુકડાના મૂલના 1,000 દ્રાક્ષના વેલાઓ હતા ત્યાં ત્યાં કાંટા અને ઝાંખરા ઊગશે. 24 માણસ, ધનુષબાણ લઇને ત્યાં ફકત શિકાર કરવા જશે, કારણ, કાંટા અને ઝાંખરાંથી બધો પ્રદેશ છવાઇ ગયો હશે. 25 પહેલાં જે ટેકરાઓ ઉપર કોદાળી વડે ખેતી થતી હતી, ત્યાં કાટાં અને ઝાંખરાની બીકથી કોઇ પગ સુદ્ધાં મૂકશે નહિ, ત્યાં બળદોને છૂટા મૂકવામાં આવશે અને બકરા ચરશે.” |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International