Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 44 - પવિત્ર બાઈબલ


બહારનો દરવાજો

1 તે માણસ મને પાછો મંદિરની પૂર્વ બાજુએ આવેલા બહારના દરવાજા આગળ લઇ આવ્યો. એ દરવાજો બંધ હતો.

2 યહોવાએ મને કહ્યું, “આ દરવાજો બંધ રાખવામાં આવશે. એને કદી ઉઘાડવો નહિ. કોઇ માણસે એમાં થઇને દાખલ ન થવું, કારણ, ઇસ્રાએલના દેવ યહોવા એમાં થઇને દાખલ થયેલા છે, એને બંધ જ રાખવો.

3 રાજકુમાર અને કેવળ રાજકુમાર જ ત્યાં બેસીને યહોવા સમક્ષ ભોજન લઇ શકે, તેણે ઓસરીને માર્ગે જ અંદર આવવું અને બહાર જવું.”


મંદિરની પવિત્રતા

4 પછી તે માણસ ઉત્તરના દરવાજેથી મંદિરની સામે આવ્યો. મેં જોયું તો યહોવાના ગૌરવથી મંદિર ભરાઇ ગયું હતું. હું ભૂમિ પર ઊંધો પડ્યો.

5 યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તું જે કઇં જુએ, ને સાંભળે છે ત્યાં ધ્યાન કેન્દ્રીત કર હું તને યહોવાના મંદિરના નિયમો અને ધારાધોરણો કહું છું. મંદિરના પ્રવેશદ્વાર અને પવિત્રસ્થાનના બધા બહાર નીકળવાના સ્થાન પર ખાસ ધ્યાન આપ.

6 અને આ બંડખોર ઇસ્રાએલી લોકોને કહે કે ‘યહોવા મારા માલિક કહે છે: હે ઇસ્રાએલ, તમે ઘણા ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે:

7 મને રોટલી ભેદ અને રકત અર્પણ કરતી વખતે તમે વિદેશીઓને, જેઓ હૃદયમાં અને શરીરમાં બેસુન્નત છે, એવા લોકોને મારા પવિત્રસ્થાનમાં લઇ આવ્યા છો. આમ કરીને તમે મંદિરને અશુદ્ધ કર્યું છે અને મારા કરારનો ભંગ કર્યો છે અને તમારા બીજા સર્વ પાપોની સાથે આ પાપનો વધારો કર્યો છે.

8 મારા મંદિરમાં જાતે ઉપાસના કરવાને બદલે તમે એ માણસોને એ કામ સોંપી દીધું છે.’”

9 યહોવા મારા માલિક કહે છે: “હૃદય અને શરીરમાં બેસુન્નત એવા કોઇ પણ વિદેશીઓને અને ઇસ્રાએલીઓ ભેગો વસવાટ કરતા વિદેશીઓ સુદ્ધાંને મારાં મંદિરમાં પ્રવેશ કરવાનો નથી.

10 જ્યારે ઇસ્રાએલીઓ દેવથી દૂર જઇને મૂર્તિઓ પાછળ ભટકી ગયા ત્યારે લેવીઓએ પણ મારો ત્યાગ કર્યો. તેઓને તેમની બેવફાઇ માટે શિક્ષા થવી જ જોઇએ.

11 તો પણ તેઓ દરવાજાઓની ચોકી કરી શકે અને મંદિરના પરચુરણ કામો કરે. તેઓ દહનાર્પણ માટે લાવવા પ્રાણીઓનો વધ કરી શકે અને લોકોની સહાય કરવા હાજરી આપી શકે.

12 પણ તેઓએ ઇસ્રાએલના લોકો તરફથી મૂર્તિની પૂજા કરી હતી અને એમ કરીને લોકોને પાપમાં નાખ્યાં હતાં તેથી હું, યહોવા મારા માલિક, પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, ‘તેમણે તેમનાં પાપોની સજા ભોગવવી પડશે.’”

13 “તેઓ યાજકો તરીકે મારી સમક્ષ આવીને મારી સેવા નહિ કરી શકે, તેઓ મારી પવિત્ર વસ્તુઓની પાસે કે ગર્ભગૃહમાં નહિ આવી શકે. તેમણે કરેલાં ધૃણાપાત્ર કૃત્યોની આ સજા છે.

14 તેઓ મંદિરની કાળજી રાખનારા, પરચુરણ કામો કરનારા અને લોકોને મદદ કરનારા થશે.

15 “લેવી વંશના સાદોકના કુળના યાજકોએ ઇસ્રાએલીઓ જ્યારે મારાથી વિમુખ થઇ ગયા હતા ત્યારે પણ મંદિરમાં મારી સેવા કરવાનું ચાલું રાખ્યું હતું એટલે તેઓ જ મારી સેવા કરવા માટે મારી પાસે આવી શકશે. તેઓ ચરબી અને લોહી ધરાવવા માટે મારી સમક્ષ ઊભા રહી શકશે.” આ યહોવા મારા માલિક બોલે છે.

16 “તેઓ મંદિરમાં દાખલ થઇ, મારી વેદી પાસે આવી, મારી સમક્ષ ઊભા રહી શકશે.” આ યહોવા મારા માલિક બોલે છે.

17 “તેઓ જ્યારે મંદિરના અંદરના ચોકમાં પ્રવેશે ત્યારે માત્ર શણનાં વસ્ત્રો જ ધારણ કરે. મંદિરના અંદરના ચોકમાં અથવા મંદિરમાં સેવા કરતી વખતે ઊનના વસ્ત્રો પહેરે નહિ.

18 તેઓએ માથે શણની પાઘડી પહેરવી અને શણની ઇજાર પહેરવાં. જે વસ્ત્રો પહેરવાથી પરસેવો થાય તેવાં વસ્ત્રો તેમણે પહેરવાં નહિ.

19 રી ઉપાસના પૂરી કરીને તેઓ બહારના ચોકમાં લોકો પાસે જાય ત્યારે તેમણે ઉપાસના કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઊતારીને તેમને માટે ઠરાવેલી ઓરડીમાં મૂકી દેવા અને બીજા વસ્ત્રો પહેરવાં, જેથી એમનાં પવિત્ર વસ્ત્રો દ્વારા લોકોમાં પવિત્રતા ફેલાય નહિ.

20 “તેમણે માથે મુંડન પણ ન કરાવવું તેમ વાળ લાંબા વધવા પણ ન દેવા. તેમણે ટૂંકા વાળ રાખવા.

21 મંદિરના અંદરના ચોકમાં પ્રવેશતા પહેલાં કોઇ પણ યાજકે દ્રાક્ષારસ પીવો નહિ.

22 તે છૂટાછેડા લીધેલી સ્ત્રી કે વિધવા સાથે લગ્ન કરી શકે નહિ. કેવળ ઇસ્રાએલી કુમારિકા સાથે અથવા યાજકની વિધવા સાથે લગ્ન કરી શકે.

23 “યાજકોએ મારા લોકોને પવિત્ર અને અપવિત્ર વચ્ચેનો ભેદ સમજાવવો અને તેમણે શુદ્ધ શું અને અશુદ્ધ શું છે તે સમજાવવું.

24 જ્યારે કોઇ ઝઘડો ઊભો થાય ત્યારે તેમણે મારા કાયદા અનુસાર ન્યાય ચૂકવવો. તેમણે મારાં ધારાધોરણો મુજબ બધા તહેવારો ઉજવવા અને વિશ્રામવારની પવિત્રતા જાળવી પાળવો, અને તે માટે કાળજી રાખવી.

25 યાજકો પોતાના પિતા, માતા, બાળક, ભાઇ અથવા કુંવારી બહેનના અપવાદ સિવાય બીજી કોઇ પણ વ્યકિતના મૃતદેહ પાસે જાય નહિ અને પોતાને અશુદ્ધ કરે નહિ.

26 શુદ્ધિ પછી તેમણે સાત દિવસ જવા દેવા. પછી જ તે મંદિરમાં પોતાની સેવા ફરીથી બજાવી શકે.

27 અને ત્યાર પછી અંદરના ચોકમાં જઇ પાપાર્થાર્પણ ચઢાવવો, જેથી તેઓ ફરી મંદિરમાં ઉપાસના કરી શકે.” આ યહોવા મારા માલિક બોલે છે.

28 “તેઓને ભાગે ઇસ્રાએલમાં કોઇ વારસાગત મિલકત આવેલી નથી. હું જ તેમની મિલકત છું, વારસો છું અને તે તેઓને માટે પૂરતું છે.

29 ખાદ્યાર્પણ, પાપાર્થાર્પણ અને દોષાર્થાર્પણ બલિ એ જ તેમનો ખોરાક છે, અને ઇસ્રાએલમાં મને અર્પણ કરેલું સર્વ કઇં તેમને મળશે.

30 પહેલી ઊપજનો ઉત્તમ ભાગ અને મને ધરાવેલી તમામ વસ્તુઓ યાજકને મળે. અને જ્યારે તમે નવા અનાજની રોટલી બનાવો ત્યારે તમારે પહેલી રોટલી યાજકને અર્પવી, જેથી તમારા ઘર પર આશીર્વાદ ઊતરે.

31 યાજકોએ કદી પણ કુદરતી રીતે મૃત્યુ પામેલા અથવા હિંસક પ્રાણીનો શિકાર બની મૃત્યુ પામેલા કોઇ પણ પશુ કે પંખીનું માંસ ખાવું નહિં.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan