2 કરિંથીઓ 7 - પવિત્ર બાઈબલ1 પ્રિય મિત્રો, દેવ તરફથી આપણને આ વચનો મળ્યાં છે. તેથી આપણે આપણી જાતને નિર્મળ બનાવવી જોઈએ-કોઈ પણ વસ્તુ જે શરીર કે આત્માને મલિન બનાવે, આપણે તેનાથી મુક્ત જીવન પદ્ધતિમાં યથાર્થ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે આપણે દેવનો આદર કરીએ છીએ. પાઉલનો ઉલ્લાસ 2 તમારા હૃદય અમારા પ્રતિ ખોલો. અમે કોઈ વ્યક્તિનું કશું ખરાબ નથી કર્યુ. અમે કોઈ પણ વ્યક્તિના વિશ્વાસનો ધ્વંસ નથી કર્યો, અને અમે કોઈ વ્યક્તિને છેતરી નથી. 3 હું તમારા પર આક્ષેપ મૂકવા આ કહેતો નથી. મેં તમને પહેલા કહ્યું છે તેમ. અમે તમને એટલો બધો પ્રેમ કરીએ છીએ કે તમારી સાથે જીવવા કે મરવા અમે તૈયાર છીએ. 4 તમારા માટે હું નિશ્ચિતતા અનુભવું છું. હું તમારા માટે ઘણો ગર્વ અનુભવું છું. તમે મને ઘણી હિંમત આપી છે. અને અમારી બધી જ મુશ્કેલીઓમાં મને ઘણો આનંદ મળ્યો છે. 5 જ્યારે અમે મકદોનિયા આવ્યા ત્યારે અમને આરામ મળ્યો નહિ, અમે મુશ્કેલીઓથી ઘેરાયેલા હતા. બાહ્ય રીતે લડાઈઓ હતી, પરંતુ આંતરીક રીતે અમે ભયભીત હતા. 6 પરંતુ જે લોકો મુશ્કેલીમાં હોય છે તેમને દેવ સહારે આપે છે. અને જ્યારે તિતસ આવ્યો ત્યારે દેવે અમને સહારો આપ્યો. 7 તેના આવવાથી અને તમે એને જે દિલાસો આપેલો તેનાથી અમને આશ્વાસન મળ્યું હતું. મને મળવાની તમારી ઈચ્છા વિષે તિતસે મને કહ્યું. તેણે કહ્યું કે તમે જે કર્યુ છે, તે માટે તમે ખૂબ જ દિલગીર છો અને તમે મારી ખૂબ જ દરકાર કરો છો. તે વિષે તિતસે મને કહ્યું. મેં જ્યારે આ સાંભળ્યું ત્યારે, હું વધુ રાજી થયો. 8 મારા પત્રથી તમને દુઃખ થાય તો પણ તે લખવા માટે હું દિલગીર નથી. મને ખબર છે કે તે પત્રએ તમને દુઃખ આપ્યું છે. અને તે માટે હું દિલગીર છું. પરંતુ તેનાથી તમને દુઃખ થયું માટે જ વ્યથિત થયા. 9 હવે મને આનંદ થયો છે કારણ કે તમારા દુઃખે તમને તમારું હૃદય પરિવર્તન કરાવ્યું છે. દેવ ઈચ્છતો હતો તે રીતે તમે દિલગીર થયા. ગમે તેમ પણ અમારા કારણે તમને કોઈ નુક્સાન થયું નહિ. 10 દિલગીલ થવું એટલે કે જેમ દેવ ઈચ્છે છે તેમ કોઈ એક વ્યક્તિને પસ્તાવો થાય તેના જેવું છે. આ વ્યક્તિને તારણ તરફ લઈ જાય છે, અને તે માટે અમે દિલગીર થઈ શકીએ નહિ, પરંતુ જે પ્રકારની વ્યથા દુનિયાની છે, તે મૃત્યુ લાવશે. 11 જેવી દેવની ઈચ્છા હતી તેવી વ્યથા તમારી હતી. હવે જુઓ કે તે વ્યથા તમને શું પ્રદાન કરે છે: તે વ્યથા તમારામાં ઘણી ગંભીરતા લાવી. તમે ખોટા ન હતા તેવું પૂરવાર કરવાની તેણે તમને પ્રેરણા આપી. તેણે તમને ક્રોધિત તેમજ ભયભીત બનાવ્યા. મને મળવા માટે તેણે તમને પ્રેરણા આપી. તેણે તમને વધારે સમર્પિત બનાવ્યા. તેણે તમને ન્યાયી બાબત કરવાની ઈચ્છાવાળા બનાવ્યા. તમે સાબિત કર્યુ કે તમે આ બાબતમાં સંપૂર્ણ નિર્દોષ હતા. 12 કોઈ એકે ખોટું કર્યુ, તેના કારણે મેં એ પત્ર નહોતો લખ્યો. અને જે વ્યક્તિ વ્યથિત થયેલી તેના માટે પણ તે નહોતો લખાયો. પરંતુ મેં તે પત્ર લખ્યો કે જેથી, દેવની સમક્ષ તમે જોઈ શકો કે તમે અમારા માટે ઘણી કાળજી રાખી છે. 13 અને તેથી જ અમને દિલાસો મળ્યો. અમને ઘણો જ દિલાસો પ્રાપ્ત થયો અને અમને એ જોઈને ખરેખર વધુ આનંદ થયો. કે તિતસ ઘણો જ આનંદિત હતો. તમે બધાએ એને ખૂબ જ સારી લાગણી કરાવી. 14 તિતસ આગળ મેં તમારા વખાણ કર્યા હતાં. અને તમે સાબિત કરી આપ્યું કે હું સાચો હતો. બધી જ વસ્તુ અમે જે તમને કહી તે સત્ય હતી. અને તમે તે સાબિત કરી આપ્યું કે અમે જે બધી બડાશો તિતસ આગળ મારી હતી તે સાચી છે. 15 અને જ્યારે એ યાદ કરે છે કે તમે બધા પાલન કરવા તૈયાર છો ત્યારે તેનો તમારા પ્રત્યેનો પ્રેમ વધુ સુદૃઢ બને છે. તમે તેને માન અને ભયથી આવકાર્યો. 16 મને ઘણો આનંદ છે કે હું તમારામાં સંપૂર્ણ વિશ્વાસ મૂકી શકું તેમ છું. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International