Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 કરિંથીઓ 12 - પવિત્ર બાઈબલ


પાઉલના જીવનમાં વિશિષ્ટ આશીર્વાદ

1 મારે બડાશ મારવાનું ચાલું રાખવું જોઈએ. તે ખાસ મદદરૂપ નહિ થાય, પરંતુ હવે પ્રભુ તરફથી ઉદભવતા દર્શન અને પ્રકટીકરણ વિષે હું વાત કરીશ.

2 હું ખ્રિસ્તમય બનેલી એવી વ્યક્તિને જાણું છું, જેને ત્રીજા આકાશમાં લઈ જવામાં આવ્યો હતો. આ 14 વર્ષ પહેલા બન્યું હતું. મને ખબર નથી કે તે માણસ તેના શરીરમાં હતો કે શરીરની બહાર હતો. પરંતુ દેવ જાણે છે.

3-4 અને મને ખબર છે કે આ વ્યક્તિને પારાદૈશમાં લઈ જવામાં આવ્યો. મને ખબર નથી કે તે તેના શરીરમાં હતો કે તેના શરીરથી દૂર હતો. પરંતુ તેણે એવી વસ્તુઓ સાંભળી હતી કે જે તે સમજાવી શક્યો નથી. તેણે એવી વાતો સાંભળેલી કે જે કહેવાની કોઈ વ્યક્તિને પરવાનગી નથી.

5 હું આવી વ્યક્તિ વિષે બડાશ મારીશ. પરંતુ હું ફક્ત મારા પોતાના વિષે બડાશો મારીશ નહિ. હું માત્ર મારી નબળાઈઓ વિષે બડાશ મારીશ.

6 પરંતુ જો મારે મારી જાત વિષે બડાઈ મારવી હોત તો, હું મૂર્ખ તો નહિ જ બનું. હું મૂર્ખ નહિ બનું કારણ કે હું સત્ય કહેતો હોઈશ. પરંતુ હું મારી જાત વિષે બડાઈ મારીશ નહિ. શા માટે? કારણ કે લોકો મને જે કરતા જુએ છે અને જે કહેતા સાંભળે છે, તેથી વિશેષ મારા માટે લોકો ધારે તેવી મારી ઈચ્છા નથી.

7 પરંતુ જે અદભુત વાતો મને બતાવવામાં આવી છે. તેના માટે વધારે પડતો ગર્વ અનુભવવો ના જોઈએ. તેથી કષ્ટદાયક સમસ્યા મને આપવામાં આવી હતી. તે સમસ્યા તે શેતાન તરફથી આવેલો દૂત છે. તેને મને મારવા માટે અને વધુ પડતો ગર્વશાળી બનતો અટકાવવા માટે મોકલવામાં આવ્યો હતો.

8 મેં આ સમસ્યા મારાથી દૂર કરવા માટે પ્રભુને ત્રણ વાર પ્રાર્થના કરી.

9 પરંતુ પ્રભુએ મને કહ્યું કે, “મારી કૃપા તારે માટે પૂરતી છે. જ્યારે તું નિર્બળ બને છે, ત્યારે મારું સાર્મથ્ય તારી નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” તેથી મારી નબળાઈઓ વિષે બડાશ મારતા હું ઘણો પ્રસન્ન છું. પછી ખ્રિસ્તની શક્તિ મારામાં જીવશે.

10 તેથી જ્યારે મારામાં નબળાઈ આવે છે, ત્યારે હું પ્રસન્ન થાઉં છું. મારા વિષે લોકો જ્યારે ખરાબ બોલે છે, ત્યારે હું રાજી થાઉં છું. જ્યારે મને મુશ્કેલી પડે છે ત્યારે હું રાજી થાઉં છું. અને જ્યારે મારી આગળ સમસ્યાઓ હોય છે ત્યારે હું રાજી થાઉં છું. આ બધું જ ખ્રિસ્ત માટે છે. અને હું આ બધાથી આનંદીત છું, કારણ કે જ્યારે હું નિર્બળ હોઉં છું, ત્યારે હું મજબૂત હોઉં છું.


કરિંથીના ખ્રિસ્તીઓ પ્રત્યે પાઉલનો પ્રેમ

11 હું મૂર્ખની જેમ વાત કરી રહ્યો હતો. પરંતુ તમે મને એમ કરવા પ્રેર્યો. તમારે લોકોએ મારા વિષે સારું બોલવું જોઈએ. મારું કોઈ મૂલ્ય નથી, પરંતુ તે “મહાન પ્રેરિતો” નું મૂલ્ય મારા કરતા વધારે નથી!

12 હું જ્યારે તમારી સાથે હતો ત્યારે મે એવા કામો કર્યા જે પૂરવાર કરે કે હું પ્રેરિત છું – મેં ચિહ્નો બતાવ્યા, અદભૂત કાર્યો અને પરાક્રમો કર્યા. મેં ઘણી ધીરજથી આ કામો કર્યા.

13 તેથી બીજી મંડળીઓને જે પ્રાપ્ત થયું તે બધું જ તમને પ્રાપ્ત થયું. માત્ર એક બાબતમાં તફાવત હતો. હું તમને બોજારૂપ નહોતો. આ માટે મને માફ કરશો!

14 હવે ત્રીજી વખત તમારી મુલાકાત લેવા માટે હું તૈયાર છું. અને હું તમને બોજારૂપ બનીશ નહિ. તમારું જે કાંઈ છે, તેમાંથી મારે કશું જ જોઈતું નથી. હું તમને ઈચ્છું છું. બાળકોએ માતા પિતાને આપવા માટે કોઈ બચાવવાની જરૂર નથી, માતા પિતાએ તેમના બાળકોને આપવા બચાવવું જોઈએ.

15 મારી પાસે જે કાંઈ છે તે તમને આપતા મને આનંદ થાય છે. હું મારી જાત સુદ્ધા તમને આપીશ. જો હું તમને વધારે પ્રેમ કરું તો શું તમે મને ઓછો પ્રેમ કરશો?

16 એ સ્પષ્ટ છે કે હું તમને બોજારુંપ નહોતો. હું ચાલાક હતો અને તમને પકડવા જૂઠનો ઉપયોગ કરતો હતો તેવું તમે વિચારો છો.

17 તમારા પ્રતિ મોકલેલા કોઈ પણ માણસોનો ઉપયોગ કરીને શું તમને છેતર્યા છે? ના! તમે જાણો છો મેં એમ નથી કર્યુ.

18 મેં તિતસને તમારી પાસે જવા કહ્યું અને અમારા બંધુને મેં તેની સાથે મોકલ્યો. તિતસે તમને નથી છેતર્યા, ખરું ને? ના! તમે જાણો છો કે મને અને તિતસને એક જ આત્માએ દોર્યા છે. અને અમે એ જ માર્ગને અનુસર્યા છે.

19 તમે શું એમ માનો છો કે આ બધા સમય દરમ્યાન અમે અમારો બચાવ કરીએ છીએ? ના. અમે ખ્રિસ્ત થકી આ બધી વાતો કહીએ છીએ. અને દેવની સમક્ષ અમે આ બધી વસ્તુ કહીએ છીએ. તમે મારા પરમ મિત્રો છો. અને અમે જે કઈ કરીએ છીએ તે તમને વધુ સાર્મથ્યવાન બનાવવા કરીએ છીએ.

20 હું આમ કરું છું કારણ કે મને ભય છે કે હું તમને જેવા થવા ઈચ્છું છું તેવા તમે હશો નહિ. જ્યારે હું આવું છું અને તમે મને જેવો થવા ઈચ્છો છો તેવો હું હોઈશ નહિ. મને ભય છે કે તમારા સમૂહમાં વિવાદ, ઈર્ષા, ક્રોધ, સ્વાર્થ, ઝઘડા, દુષ્ટવાતો, ગપસપ, ઉધ્ધતાઈ અને મુંઝવણો હશે.

21 મને ભય છે કે જ્યારે હું ફરીથી તમારી પાસે આવીશ ત્યારે મારો દેવ મને તમારી આગળ નમ્ર બનાવશે. તમારામાંના ઘણા દ્વારા મને વિષાદ થશે. જેઓએ અગાઉ પાપો કર્યા છે તે માટે હું દિલગીર થઈશ. કારણ કે તેઓએ પસ્તાવો કર્યો નથી. તથા તેઓએ તેઓના પાપી જીવન માટે પશ્ચાતાપ કર્યો નથી. તેઓના વ્યભિચાર અને શરમજનક કૃત્યો માટે પણ તેઓએ પશ્ચાતાપ નથી કર્યો.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan