Online Bible

- Reklamy -

નીતિવચનો 16 - પવિત્ર બાઈબલ

1 માણસો મનમાં સંકલ્પ કરે છે; પણ છેલ્લો નિર્ણય તો યહોવાના હાથમાં છે.

2 વ્યકિતને પોતાનું બધું આચરણ સાચું લાગે છે પરંતુ યહોવા તેના અંતરને પારખે છે.

3 તમારા કામો યહોવાને સોંપી દે એટલે તમારી યોજનાઓ સફળ થશે.

4 યહોવાએ પ્રત્યેક વસ્તુને પોતપોતાના હેતુ માટે સર્જી છે; હા, દુષ્ટોને પણ, સંકટના કાળ માટે સર્જ્યા છે.

5 દરેક અભિમાની વ્યકિતને યહોવા ધિક્કારે છે, ખાતરી રાખજો તેને સજા થયા વગર નહિ રહે.

6 દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે, અને યહોવાનો ડર વ્યકિતને દુષ્ટતાથી દૂર રાખે છે.

7 જ્યારે કોઇ વ્યકિતના જીવનથી યહોવા ખુશ થાય છે ત્યારે તેના દુશ્મનોને પણ તેની સાથે શાંતિથી રાખે છે.

8 અન્યાયથી મળેલી ધણી આવક કરતા, ન્યાયથી મળેલી થોડી આવક સારી છે.

9 વ્યકિતનું મન માર્ગ પસંદ કરે છે, પરંતુ માત્ર યહોવા જ તેના પગલાને નક્કી કરે છે.

10 રાજાના મુખમાં પ્રેરણાત્મક નિર્ણયો વસે છે, તે જ્યારે ન્યાય કરે છે ત્યારે ભૂલ કરતો નથી.

11 અદલ કાંટો તથા ત્રાજવાં યહોવાનાં છે. કોથળી માંહેનાં સર્વ કાટલાં તેનું કામ છે.

12 અનિષ્ટ વસ્તુઓ કરવી એ રાજા માટે અક્ષમ્ય છે, સારા કામોથી રાજગાદી સ્થાપિત થાય છે.

13 સાચી વાણીથી રાજાઓ રીઝે છે, અને સત્યવાદી ઉપર તેઓ પ્રેમ રાખે છે.

14 રાજાનો રોષ યમદૂતો જેવો છે; પણ શાણી વ્યકિત તેના ગુસ્સાને શાંત પાડે છે.

15 જ્યારે રાજાનું મુખ પ્રસન્ન હોય છે ત્યારે જીવન સુરક્ષિત હોય છે, એની કૃપા વરસાદના વાદળ જેવી છે.

16 સોના કરતાં જ્ઞાન મેળવવું એ ઉત્તમ છે! અને ચાંદી કરતા સમજણ મેળવવી વધારે યોગ્ય છે.

17 પ્રામાણિક માણસનો માર્ગ દુષ્ટતાથી દૂર હોય છે, જોઇવિચારીને ચાલનાર પોતાનો જીવ બચાવે છે.

18 અભિમાનનું પરિણામ નાશ છે, અને પતનની પહેલાં ગવિર્ષ્ઠ સ્વભાવ આવે છે.

19 ગરીબની સાથે નમ્રતા રાખવી તે અભિમાનીની લૂંટના ભાગીદાર થવા કરતાં વધારે સારું છે.

20 જે યહોવાના વચનને ગણકારે છે તેનું હિત થશે. અને જે કોઇ યહોવા પર વિશ્વાસ રાખે છે તેને ધન્ય છે.

21 જ્ઞાની અંત:કરણવાળો શાણો કહેવાશે; તેની મીઠી વાણી જ્ઞાનનો વધારો કરે છે.

22 જેની પાસે સમજ હોય તેને માટે સમજણ જીવનદાતા છે, પણ મૂર્ખ માટે શિક્ષા એ તેમની મૂર્ખાઇ છે.

23 જ્ઞાની હૃદય વ્યકિતની વાણીને દોરવણી આપે છે અને તે હોઠ ઉપર જ્ઞાનનો વધારો કરે છે.

24 માયાળુ શબ્દો મધ જેવા છે, તેઓ આત્માને સ્વાદે મીઠી અને હાડકા માટે તંદુરસ્ત આપે છે.

25 એક એવો પણ માર્ગ હોય છે જે લાગે સીધો પણ લઇ જાય છે મૃત્યુ તરફ.

26 મજૂરની ભૂખ તેની પાસે મજૂરી કરાવે છે; તેનું મોઢું માણસને જંપીને બેસવા દેતું નથી.

27 નકામો માણસ દુષ્ટ યોજનાઓ ઘડે છે. તેની જીભે બળબળતો અજ્ઞિ છે.

28 દુષ્ટ માણસ કજિયા-કંકાસ કરાવે છે, લોકો વિષે અનિષ્ટ બોલનારી વ્યકિત મિત્રોમાં ફૂટ પડાવે છે.

29 હિંસક માણસ પોતાના પડોશીને છેતરીને ખરાબ માર્ગે દોરી જાય છે.

30 આંખ મટકાવનાર વ્યકિત મુશ્કેલી લાવનારી યોજનાઓ કરે છે, અને હોઠ ભીડનાર વ્યકિત કંઇક અનિષ્ટ કરી રહી હોય છે.

31 માથે પળિયાં એે ગૌરવનો તાજ છે; સત્યને માર્ગે ચાલનારને એ મળે છે.

32 જે ક્રોધ કરવે ધીમો શકિતશાળી યોદ્ધા કરતાં વધું ઇચ્છનીય છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનાર કરતાં ઉત્તમ છે.

33 લોકો દ્વારા ચિઠ્ઠી નાખવામાં આવે છે, પણ નિર્ણય તો તે બધાંયનો યહોવાના હાથમાં છે.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Následuj nás:



Reklamy